જૂનાગઢ જિલ્લામાં 2.09 લાખ હેકટરમાં મગફળીનું વાવતેર
સતત વરસાદ બાદ મુંડા અને ધૈણનાં ઉપદ્રવથી ખેડૂતોને નુકસાનની ભીતિ: મગફળનો પાક સૂકાવા લાગ્યો : ખેતર ખાલી થવા લાગતા ખેડૂતોમાં ચિંતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનનો પ્રારંભ સારો થયો છે. પરંતુ હાલ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનાં પાકમાં મુંડા અને ધૈણનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. સોરઠમાં 30 ટકા સુધી મગફળીનાં પાકને નુકસાન થવાની સંભાવનાં છે. મુંડાનાં ઉપદ્રવનાં કારણે ખેતર ખાલી થવા લાગ્યા છે. ખેડૂતોને આર્થિક ફટકો પડવાની સંભાવનાં છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં જુલાઇ મહિનાનાં અંત સુધીમાં સારો વરસાદ પડી ગયો છે. મોટાભાગનાં ડેમ ભરાઇ ગયા છે. સારો વરસાદ થતા ખેડૂતોને સારા વર્ષની આશા બંધાઇ હતી. ખેડૂતોને નીંદામણ, આંતરખેડ કે દાવ છંટકાવનો સમય મળ્યો ન હતો. હાલ સોરઠમાં વરસાદે વિરામ લીધો છે. ખેડૂતો ખેતરમાં કામે લાગ્યાં છે. પરંતુ મગફળીનાં પાકમાં મુંડા અને ધૈણનો ઉપદ્રવ વધ્યો છે. મગફળીનાં પાકમાં મુંડા આવતા મગફળીનો પાક સુકાવા લાગ્યો છે. ખેતર ખાલી થઇ રહ્યાં છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનાં પાકમાં મુંડાનો ઉપદ્રવ દેખાઇ રહ્યો છે. ખેડૂતોનાં કહેવા મુજબ મુંડાનાં કારણે મગફળીનો પાક 30 ટકા જેટલો નિષ્ફળ થશે. એકલા વિસ્તારમાં તે ટકાવારી વધવાની સંભાવનાં છે. મજુરી, દવા-બીયારણ, ખાતર વગેરે મોંઘા થયા છે. મગફળીનાં પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયા છે. જૂનાગઢ જિલ્લામાં 2.09 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. ત્યારે પાક નિષ્ફળ થતા તંત્ર દ્વારા તાત્કાલીક સર્વે કરવાની માંગ કરાઇ છે. તેમજ સહાય ચુકવવાની માંગ કરાઇ છે.
મુંડા, ધૈણનાં ઉપદ્રવને અટકાવવા શું કરવું?
વરસાદ બાદ પુખ્ત ઢાલીયા ધૈણ રામબાવળ, બોરડી, સરગવો કે લીમડાના પાન ખાય છે. જેથી આ વૃક્ષોના ડાળ હલાવી ઢાલીયા વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી તેનો નાશ થઈ શકે, શેઢે-પાળેના ઝાડ પર કારબારીલ (50 વેટેબલ પાવડર) 40 ગ્રામ અથવા ક્વીનાલફોસ (25 ઈસી) 25 મીલી દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, પ્રકાશ પિંજર ગોઠવી ઢાલીયા એકઠા કરી તેના નાશ કરવો, આ માટે ખેડૂતોએ ખેતરમાં લેમ્પ ગોઠવી નીચે દવાવાળું તથા કેરોસીનવાળું પાણી રાખવાથી રાત્રે પુખ્ત ઢાલીયા પ્રકાશ સામે આકર્ષાઈને નીચે રહેલા પાણીમાં પડીને નાશ પામે છે અને ઉભા પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળે ત્યારે ક્લોરપાયરીફોસ (20 ઈસી) અથવા ક્વીનાલફોસ (25 ઈસી) 25 મિલી દવા હેક્ટરે ચાર લીટર પ્રમાણે નિયત પાણી સાથે ટીપે ટીપે આપવી, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જી.એસ. દવેએ જણાવ્યું હતું.
- Advertisement -
વિસાવદરનાં કાલસારીમાં ખેડૂતોએ ગાયો ચરાવી દીધી
વિસાવદર પંથકમાં મુંડાનો ઉપદ્રવ વધારે છે. અહીં ખેતરનાં ખેતર ખાલી થવા લાગ્યાં છે. ત્યારે વિસાવદરનાં કાલસારી ગામમાં ખેડૂતે મગફળીનાં ઉભા પાકમાં ગાયો ચરાવી દીધી છે. ગામમાં બે ખેડૂતે 13 વિઘામાં ગાયો ચરાવી દીધી છે. આ વિસ્તારમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થીક ફટકો પડ્યો છે.