મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ઇમર્જન્સી બેઠક યોજી: બંધારણની વિરુદ્ધનો યુનિફોર્મ સિવિલ કોડ દરેક ધર્મોના લોકોને અસર કરશે : ખાલિદ રાશીદ
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપતુ એક નિવેદન આપ્યું હતું, જેને પગલે યુનિફોર્મ સિવિલ કોડને લઇને દેશમાં ફરી ચર્ચા જાગી છે. એવામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બેઠક યોજી હતી, જે બાદ આ મુદ્દે લો કમીશનને પત્ર લખ્યો છે અને અભિપ્રાય માટે વધુ સમય માગ્યો છે. દરમિયાન લો બોર્ડના સભ્ય મૌલાના અર્શદ મદનીએ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડને સરકાર લાગુ કરવા માગે છે, અમે આ મુદ્દે શું કરી શકીએ? મોદી ખુલ્લેઆમ કહે છે કે મુસ્લિમોના અધિકારોને પરત લઇ લેવા જોઇએ. અન્ય એક સભ્યએ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કર્યો હતો.
- Advertisement -
મૌલાનાએ સાથે એમ પણ કહ્યું હતું કે અમે કોઇ પણ પ્રતિભાવ આપીએ લો કમિશન સરકાર ઇચ્છે તે મુજબ જ નિર્ણયો લે છે. મુસ્લિમ સમાજ આ મુદ્દે શું પગલા લેશે તેના જવાબમાં મૌલાનાએ કહ્યું હતું કે આ સંજોગોમાં મુસ્લિમો શું કરે? કોઇ પણ શું કરી શકે? મૌલાનાએ સાથે એમ પણ કહ્યું હતું કે મે મુસ્લિમોને કહ્યું છે કે તેઓ વિરોધ માટે રસ્તા પર ના ઉતરે પણ યોગ્ય દિશામાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે. મુસ્લિમો શું પગલા લેવા માગે છે તેના જવાબમાં મૌલાનાએ કહ્યું હતું કે અમારી મસ્જિદ જતી રહી, અમે શુ કરી શક્યા?
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય ખાલિદ રાશીદે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ બંધારણના ઢાંચાની જ વિરૂદ્ધનું છે. અને અમે યુનિફોર્મ સિવિલ કોડનો મજબુતાઇથી વિરોધ કરીશું. ભારત એક એવો દેશ છે જ્યાં જુદાજુદા ધર્મ અને સંસ્કૃતિનું સન્માન કરવામાં આવે છે. એવામાં યુનિફોર્મ સિવિલ કોડ ન માત્ર મુસ્લિમો સાથે સાથે હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી બધા જ ધર્મોના લોકોને અસર કરશે. અમે જે બેઠક યોજી છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુનિફોર્મ સિવિલ કોડ અંગેના નિવેદન સાથે કઇ લેવાદેવા નથી. લો કમિશન સમક્ષ મુસ્લિમ લો બોર્ડ એક ડ્રાફ્ટ આપવાનું છે. આ ડ્રાફ્ટ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ડ્રાફ્ટ જમા કરવામાં આવે તે પૂર્વે એક પત્ર લો કમિશનને મોકલવામાં આવ્યો છે અને અભિપ્રાય આપવા માટે વધુ સમય માગ્યો છે.