દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. જોકે એક જવાન કોઈ રીતે આતંકીઓના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો પરંતુ બીજા જવાનનો ગોળીઓથી વીંધી નાખેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
એક જવાન કોઈ રીતે મુક્ત થયો પણ…
તેમાંથી એક જવાન કોઈ રીતે ઘાયલ અવસ્થામાં આતંકીઓના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક જવાન હજુ પણ આતંકી દ્વારા બંધક બનાવી રખાયો હોવાની માહિતી હતી. તેને મુક્ત કરાવવા માટે સુરક્ષાદળોએ મોટાપાયે એક અભિયાન હાથ ધર્યું હતું. જોકે હવે બીજાનો મૃતદેહ મળી આવ્યો છે. તેને પર ચપ્પાં વડે પણ હુમલા કરાયા હોય તેવું મૃતદેહ જોઈને લાગે છે.