ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેતા બે સગા ભાઈ દરગાહમાં ન્યાજ જમ્યા હતા. બાદમાં ઊલ્ટી થવા લાગી હતી. આથી સારવાર માટે બન્નેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવારમાં બન્નેએ દમ તોડી દીધો હતો.
બનાવના પગલે પોલીસે મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડી મોત અંગે સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ન્યાજમાં જમ્યા બાદ બંને બાળકોને ઊલ્ટી થઈ જતા તેઓને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજતા બનાવ અંગે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે આજ રોજ ગોંડલ પોલીસ દ્વારા બનાવ સંદર્ભે મૃતકોના પિતાનું નિવેદન નોંધી મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ન્યાજમાં અનેક લોકો જમવા ગયા હતા પરંતુ એ પૈકી અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારે ઊલટી થવાની કોઈ તબિયત લથડી હોઇ તેવું સામે ન આવતા શંકા ઉપજી રહી છે.
ત્યારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુની સાચું કારણ જાણી શકાશે.