10થી 15 દી’માં ન્યાયની પોકાર સાથે ગાંધીનગરમાં દેખાવની કૉંગ્રેસની ચિમકી
રાજ્યમાં છેલ્લા ત્રણેક વર્ષમાં થયેલા કાંડમાં સરકારે સીટની રચના કરી હતી પરંતુ એકપણ કાંડમાં સાચા જવાબદારો સામે કાર્યવાહી થઇ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડના પાંચ દિવસ બાદ રાજકોટ આવી પહોંચેલા અને અગ્નિકાંડના ભોગ બનનારના પરિવારજનોને ન્યાય અપાવવા લડત ચલાવી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હવે રાજ્ય સરકાર સમક્ષ મોરચો ખોલ્યો છે અને રાજ્યમાં બનેલા કાંડના તમામ ભોગ બનનારને ન્યાય મળે તે માટે આગામી 15 દિવસમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગલે દેખાવનો હુંકાર કર્યો છે.
ટીઆરપી ગેમ ઝોનમાં જ્યાં આગ લાગી હતી અને 27 લોકો ભડથું થઇ ગયા હતા ત્યાં મંગળવારે સાંજે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા કેન્ડલ માર્ચ યોજાઇ હતી. કેન્ડલ માર્ચ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, અગ્નિકાંડના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં તેમજ મૃતકોના પરિવારજનોને યોગ્ય સહાય કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગયાનું રાજકોટવાસીઓએ સજ્જડ બંધ પાળીને પુરવાર કરી દીધું છે. માત્ર રાજકોટનો ગેમ ઝોન અગ્નિકાંડ જ નહીં પરંતુ રાજ્યમાં છેલ્લા ત્રણેક વર્ષમાં થયેલા કાંડ જેમકે મોરબી પુલ દુર્ઘટના, હરણીકાંડ, સુરતનો તક્ષશિલાકાંડ, કોરોનાકાળમાં રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ, તેમજ ગેમ ઝોનના અગ્નિકાંડમાં સરકારે સીટની રચના કરી હતી પરંતુ આ એકપણ કાંડમાં સાચા જવાબદારો સામે કાર્યવાહી થઇ નથી.
રાજકોટના ગેમ ઝોનના ભોગ બનનાર ઉપરાંત ઉપરોક્ત તમામ કાંડના હતભાગીઓને ન્યાય અપાવવા માટે આગામી 10થી 15 દિવસમાં રાજ્યના તમામ લોકોને ચાલો ગાંધીનગર તેવી હાકલ કરવામાં આવશે અને રાજ્યભરમાંથી લોકોને સાથે લઇ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગલે પહોંચી ન્યાયની પોકાર કરવામાં આવશે, જ્યાં સુધી ભોગ બનનારાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
શાસક મૃદુ અને નરમ નહીં ગરમ હોવા જોઇએ, ભૂપેન્દ્રભાઇ ગુનેગારોને પકડવા આદેશ કરે : ગોહિલ
રાજકોટ બંધના એલાનને પગલે રાજકોટ આવી પહોંચેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મંગળવારે સવારે વેપારી વિસ્તારોમાં ફર્યા હતા અને બંધમાં જોડાવા બદલ લોકોનો આભાર માન્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટના અગ્નિકાંડે માત્ર ગુજરાત જ નહીં દેશભરના લોકોને આઘાત પહોંચાડ્યો છે. આ દુર્ઘટના ભ્રષ્ટાચારીઓના પાપે થઇ છે. રાજ્યના મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ શાસક મૃદુ નહીં પરંતુ ગરમ હોવો જોઇએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગરમ થઇને દુર્ઘટનામાં જવાબદાર મોટાં માથાંઓને પકડવા માટે આદેશ આપવો જોઇએ.