અમરેલી એરપોર્ટ પર સોમવારે વહેલી સવારે સ્થાનિક ફ્લાઈંગ સ્કૂલનું ટ્રેનિંગ એરક્રાફ્ટ રનવે પરથી લપસી જતાં મોટો અકસ્માત ટળી ગયો હતો. સદનસીબે, કોઈ ઈજાઓ નોંધાઈ નથી.
અમરેલીમાં આવેલા ટ્રેનિંગ એરપોર્ટ પર ફરી એકવાર મોટી વિમાની દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ છે. અહીં વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે, રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.
- Advertisement -
પ્લેન રનવે પર સ્લીપ થઈ ગયું
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે અમરેલી એરપોર્ટ પર રાબેતા મુજબ ટ્રેનિંગ ચાલી રહી હતી, ત્યારે એક ટ્રેનિંગ પ્લેન રનવે પર આવતા જ અચાનક સ્લીપ થઈ ગયું હતું અને રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. એરપોર્ટ મેનેજરના જણાવ્યા અનુસાર, પ્લેન સ્લીપ ખાવાને કારણે આ ઘટના બની હતી.
સત્તાધીશો દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ
- Advertisement -
આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. ઘટના બન્યા બાદ તેને મીડિયા સુધી પહોંચતી અટકાવવા અને વાતને દબાવી દેવા માટે હવાતિયા મારવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે મૌન સેવી લીધું હતું અને વાત છૂપાવી હતી. જોકે, બાદમાં અમરેલીના પ્રાંત અધિકારીએ આ ઘટના બની હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
અગાઉ પાયલોટનું મોત થયું હતું
અમરેલી એરપોર્ટ પર રનવે પરથી પ્લેન ઉતરી જવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેથી આ બીજી ઘટના છે. ભૂતકાળમાં બનેલી આવી જ એક ગંભીર દુર્ઘટનામાં પ્લેન ક્રેશ થતાં એક પાયલોટનું મોત પણ નીપજ્યું હતું. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.




