ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના રેલ્વે સ્ટેશન ખાતે એક ટ્રેનનો ડબ્બો પાટા પરથી ખડી પડતા અફરાતફરી સર્જાઈ હતી અને સાત જેટલા રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી ગઉછઋ સહિતની ટીમો દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું જો કે બાદમાં તેને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મંગળવારે વાંકાનેર સ્ટેશનની લાઈન નંબર 8 પર સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે દસેક વાગ્યાના અરસામાં રેલવે વિદ્યુતકરણ સ્પેશિયલના ગાર્ડ દ્વારા વાંકાનેરના સ્ટેશન મેનેજરને જાણ કરવામાં આવી હતી કે, શટીંગ દરમિયાન વાંકાનેર સ્ટેશનની લાઇન નંબર 8 માં એક કેમ્પીંગ કોચ પાટા પરથી ઉતરી ગયો છે જેમાં કુલ સાત રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે જેથી અકસ્માત રાહત તબીબી સાધનો અને અકસ્માત રાહત ટ્રેન તાત્કાલિક રાજકોટથી વાંકાનેર માટે રવાના કરવામાં આવી હતી અને રેલવે ઓથોરિટી, સિવિલ ઓથોરિટી, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ, સિવિલ ડિફેન્સ, સ્થાનિક હોસ્પિટલ વગેરેને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી તેમજ ઈજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર માટે સ્થળ પર તંબુ ગોઠવવામાં આવ્યા હતા, યુનિફાઇડ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી અને વાંકાનેર સ્ટેશન અને સ્થળ પર હેલ્પ લાઇન બૂથ ઉભા કરવામાં આવ્યા હતા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન, સીનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર એન આર મીણા અને એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અજય સિંહના માર્ગદર્શન હેઠળ રેલવે દ્વારા એનડીઆરએફ સાથે મળીને ઈજાગ્રસ્ત કર્મચારીઓને કોચમાંથી બહાર કાઢવાની કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે અને એનડીઆરએફની ટીમ દ્વારા કોચને છત અને બારી પરથી કાપીને તમામ સાત ઘાયલ કર્મચારીઓને સ્ટ્રેચરની મદદથી બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ બપોરે 12:40 વાગ્યે રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર દ્વારા આ મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને કોઈપણ દુર્ઘટના જેવી સ્થિતિમાં તુરંત એક્શન લઈ શકાય છે કે કેમ તેની તૈયારીઓની ચકાસણી કરવા ખાસ મોક ડ્રીલ યોજવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મોકડ્રીલ: વાંકાનેર નજીક ટ્રેનનો કોચ ટ્રેક પરથી ખડી પડતાં નાસભાગ
