આ દિવસ ઉજવવાની સૌ પ્રથમ શરૂઆત વર્ષ 2002 માં બૉર્ન ફ્રી યુ.એસ.એ. (Born Free USA) અને એવિયન વેલફેરના ગઠબંધને (Avian Welfare Coalition) કરી હતી.
સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને માહિતગાર કરવા તથા જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવાના અભિયાન તરીકે દર વર્ષે 05મી જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય પક્ષી દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા તથા લુપ્ત થવાના આરે રહેલા પક્ષીઓનું અસ્તિત્વ જાળવી શકાય તે માટે પ્લેટફોર્મ અને તક પૂરી પાડે છે. પક્ષીઓ પર્યાવરણ માટે કેટલા જરૂરી છે તેની જાણકારી લોકોને આપવામાં આવે છે.
- Advertisement -
આ દિવસ ઉજવવાની સૌ પ્રથમ શરૂઆત
આ દિવસ ઉજવવાની સૌ પ્રથમ શરૂઆત વર્ષ 2002 માં બૉર્ન ફ્રી યુ.એસ.એ. (Born Free USA) અને એવિયન વેલફેરના ગઠબંધને (Avian Welfare Coalition) કરી હતી. આ દિવસ એ પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો ખાસ દિવસ છે. પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણવાદીઓ, પક્ષી નિરીક્ષકો અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લોકો ‘‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’’ની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’’ની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ જુદાં-જુદાં દેશોમાં જુદી-જુદી તારીખે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતમાં પક્ષી દિવસ “બર્ડમેન ઓફ ઇન્ડિયા” તરીકે ઓળખાતા ભારતીય મહાન પક્ષીવિદ અને પ્રકૃતિવિદ એવા ડૉ. સલીમ અલીના જન્મદિવસ નિમિત્તે 12 નવેમ્બરના રોજ ઉજવાય છે.
વૈવિધ્યસભર વારસો જાળવવાની કામગીરી
પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત પાસે પક્ષીઓનો વૈવિધ્યસભર વારસો જળવાઈ રહે અને તેનું સંવર્ધન અને રક્ષણ થાય તે માટે 23 અભયારણ્યો અને ૦4 રાષ્ટ્રીય ઉદ્યાનો કાર્યરત કરાયા છે. ગુજરાતમાં વન્યજીવ પશુ પક્ષીઓના સંરક્ષણ માટે “વન સાથે જન” જોડીને ગુજરાત સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, જેના પરિણામે લુપ્ત થવાના આરે પહોંચેલા ચકલી, સુગરી, મેના, મોર, પોપટ જેવા પક્ષીઓમાં વૃદ્ધિ થઈ રહી છે. રાજ્ય સરકારે પક્ષી બચાવા માટે અનેક અભિયાનો હાથ ધર્યા છે. જેમાં કરૂણા અભિયાન થકી પક્ષીઓનો જીવ ન જાય તે માટે એક ખાસ અભિાયન ચલાવવામાં આવી રહયું છે. આ માટે દરેક જિલ્લાઓમાં કરૂણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જે પશુ પક્ષીઓની સારવાર કરે છે. ઉતરાયણ પર્વે નજીક છે ત્યારે “જીવો-જીવવા દો-જીવાડવાની” સંવેદના આ અભિયાન સાથે જોડી પક્ષીઓ પ્રત્યે જીવદયાની નેમ સાકાર કરવા હેતુ રાજ્યભરમાં પક્ષી નિદાન કેન્દ્રો તથા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
પક્ષીઓને સાચવવાના સંનિષ્ઠ પ્રયાસો
પક્ષીઓના સંરક્ષણ માટે ગુજરાતમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય, ગાગા પક્ષી અભયારણ્ય, ખીજડીયા પક્ષી અભયારણ્ય, પોરબંદર પક્ષી અભયારણ્ય, હિંગોળગઢ પક્ષી અભયારણ્ય, વઢવાણ પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય, શુલપાણેશ્વર પક્ષી અભયારણ્ય આવેલા છે. જેમાં રાજકોટ જિલ્લામાં વિંછીયા તાલુકામાં આવેલું હિંગોળગઢ પક્ષી અભયારણ્ય “પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય” તરીકે સુપ્રસિદ્ધ છે. આ અભ્યારણ્યમાં દર વર્ષે હજારો સહેલાણીઓ કુદરતના ખોળે વિહરતા 230થી વધુ પ્રજાતિના અનેકવિધ પક્ષીઓ, પતંગિયાઓને નિહાળવા આવતા હોય છે. સમયાંતરે યોજાતી “પ્રકૃતિ શિક્ષણ શિબિર” થકી બાળકોને અને લોકોને લુપ્ત થતી પ્રજાતિઓ અને વન્ય પ્રાણીઓ, પક્ષીઓથી માહિતગાર કરી તેનું સંરક્ષણ કરવા સમજ આપવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભારતમાં અને ગુજરાતમાં લુપ્ત થતી પ્રજાતિઓનું સંરક્ષણ કરવા માટે અનેક આયોજનો હાથ ધરવામાં આવે છે. લોકોને માહિતગાર કરવા માટે સ્પર્ધાઓ, પ્રાકૃતિક શિક્ષણ શિબિરો સહિત અનેક અભિયાનો થકી પક્ષીઓને સાચવવાના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.