માતાજીને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજો : આપઘાત પૂર્વેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ : સ્યુસાઇડ નોટ આધારે પોલીસ દ્વારા તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વ્યાજખોરીનું દુષણ ડામવામાં પોલીસ સદંતર નિષ્ફ્ળ નીવડી હોય તેમ વધુ એક વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા યુવાને જીવાદોરી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટમાં કેનાલ રોડ કેવડાવાડી પાસે લલુડી વોંકળી વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક યુવાન અમિતભાઇ અરવિંદભાઇ તન્ના ઉ.40એ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે વ્યાજખોરીમાં ફસાઇ જતાં ગોંડલ રોડ ફાટકવાળી મેલડી માતાજીના મંદિરમાં બેસી તેણે વિડીયો બનાવ્યા બાદ પગલુ ભર્યુ હતું. અમિતભાઇ તન્નાએ ગત સાંજે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારજનોએ મોબાઇલ ચેક કરતાં તેમાં વિડીયો મળ્યો હતો. તેમજ ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. અમિતભાઇના પત્નિ રૂપાબેન સહિતના સગા કુટુંબીઓએ જણાવ્યું હતું કે અમિતભાઇ તેના જ એક સમયના મિત્ર એવા જયદિપની પાસેથી 2018માં 1 લાખ રોકડા અને જયદિપના સગા પાસેથી મંડળીમાંથી 50 હજાર લીધા હતાં. તેનું મોટુ વ્યાજ ચુકવી દીધુ હતું, આમ છતાં આજ સુધી હજુ પણ વ્યાજ વસુલવામાં આવતું હતું. મોટી રકમના ચેકો લખીને કોર્ટમાં રજૂ કરી અમિતભાઇ ઉપર કેસ કરાયો હતો. હજુ પણ દરરોજ વ્યાજની ઉઘરાણી થતી હતી. અંતે તેમણે કંટાળી આ પગલુ ભર્યુ છે.બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વિડીયો, સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે મૃતક અમિતભાઇ પરિવારનો એકનો એક આધારસ્તંભ હતાં. તેમને સંતાનમાં ત્રણ વર્ષનો દિકરો છે. માતા-પિતા હયાત નથી. પોતે પત્નિ, દિકરા સાથે રહી રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. આ ઘટનાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. અમિતભાઇના મોત માટે જવાબદાર સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગણી પરિવારજનોએ ઉચ્ચારી છે.
- Advertisement -
જયદિપ, હું અમિત તન્ના, ભૂત બનીને પણ મારો હિસાબ લેવા તારી પાસે આવીશ : સ્યુસાઇડ નોટ
સ્યુસાઇડ નોટમાં અમિતભાઇ તન્નાએ ‘ખાસ વાત’ સાથે લખ્યું છે કે-જયદિપ, હું અમિત તન્ના, ભૂત બનીને પણ મારો હિસાબ લેવા તારી પાસે ચોક્કસ આવીશ! બાપા સિતારામ, હું અમિત અરવિંદભાઇ તન્ના આજરોજ જે પગલુ ભરવા જઇ રહ્યો છું તેનો સંપૂર્ણપણ જવાબદાર વ્યક્તિ એટલે….જયદિપ. આ વ્યક્તિ હસ્તક મેં રિક્ષા લેવા માટે 2018માં તેના ઓળખીતા પ્રવિણભાઇ (મામા) પાસેથી 1 લાખ રોકડા અને 50 હજાર રૂપિયાની એમની મંડળીમાંથી લોન લીધી હતી. જે બાદ દર મહિને 1 લાખના 12 હજારના હપ્તા થઇને મારે જયદિપને 1.20 લાખ ચુકવવાના હતાં. મંડળી પેટે દર મહિને 2500 રૂપિયાનો હપ્તો ચુકવવાનો એવું નક્કી થયું હતું. જે મેં સમયસર 4 મહિના ચુકવેલ. એ અરસામાં મારા પપ્પાને 2018ના 10મા મહિનામાં કેન્સરનું નિદાન થયેલુ. 2019માં બીજા મહિનામાં મારા પપ્પાનું નિધન થયેલુ. આ દવાખાનાને પહોંચી વળવા માટે બજારમાંથી મેં પૈસા ઉપાડેલ હતાં. એ લોકોને બધાને ચુકવવા માટે મારાથી જયદિપના પૈસા ચુકવવામાં વહેલા મોડુ થવા લાગેલ અને બજારમાંથી લીધેલા 45000 કટકે કટકે ભાઇબંધ દોસ્તારને ચુકવતા ચુકવતા 2020માં લોકડાઉન થઇ ગયેલ. પછી મારી પૈસા ચુકવવાની હાલત હતી નહિ, એટલે જયદિપે એના મામાને પૈસા ચકુવી આપેલા એવું મને કહેલું. ત્યાર બાદ પૈસાની લેવડ-દેવડમાં મારે જયદિપ સાથે થોડુ મનદુ:ખ થઇ ગયુ હતું. પરિસ્થિતિ એવી આવી કે એણે 10 ટકા વ્યાજ લેવાનું ચાલુ કર્યુ, એ વ્યાજ એટલે 12250 રૂપિયા ફક્ત વ્યાજ, મુડીમાં જમા નહિ. એ 12225 દેવામાં મોડુ થયું તો 1225 રૂપિયા એનું પણ વ્યાજ મારી પાસેથી લીધેલ. ખરેખર છેલ્લે હું પહોંચી ના શક્યો તો એણે મારી લીધેલી રિક્ષા પણ જમા લઇ લીધી. છતાં 2020માં એણે મારો 2,07,000 રૂપિયાનો ચેક લખી અને એના મામાએ એની મંડળીના 70,000 ભરેલો ચેક નાંખી દીધો અને હવે મારે એને પૈસા ચુકવવા જ પડશે એવી ધમકીથી કંટાળી ગયો છું જ્યારે લીમડા ચોક ટી પોસ્ટ ઉપર સમાધાન માટે બોલાવેલ ત્યારે એણે મને કહેલુ કે-તું દવા પી જા એટલે કામ પતે અને તું દવા પી જા એટલે આ જજ સાહેબ જ મને જામીન આપી દેશે. મારે તો ખાલી કાગળ જ છાપવાનો છે, ડીશ કેબલનો ધંધો છે. હવે હું આને પહોંચી શકું એમ છું નહિ, માટે 7/2/26 કોર્ટની તારીખ છે, મેં એને 5/2/26ના બપોરના સમયે ફોન કર્યો તો તેણે મારી પાસે ત્રીસ હજારની માંગણી કરી. મેં કહ્યું મારી પાસે પંદર હજાર જેવી સગવડતા છે તો કહે નહિ હાલે પૈસા પુરા જોશે. જ્યારે ખરેખર મરતો માણસ ખોટુ ના બોલે, મેં આના અને એના મામાના પુરેપુરા પૈસા ચુકવી આપેલ છે અને આણે મારી પાસે કેટલુ વ્યાજ લીધુને ઇ તો હવે મને પણ યાદ નથી! એટલે આજે દવા પીને મારા જીવનનો અંત આણવા મને મજબૂર કરનાર આ એક જ વ્યક્તિ છે જયદિપ. કોર્ટ કાયદા પ્રસાશન અને પોલીસને એક સવાલ છે કે શું ચેક આપવા વાળો માણસ હમેંશા ખોટો જ હોય અને ઇમાનદારીથી પૈસા જમા ન કરાવ્યા હોય અને ચેક લખીને નાખી દેનાર જ સાચો હોય? બને તો આ વાત વિશે વિચારજો અને જો હું મરી જાઉ તો મને ન્યાય અપાવજો. બસ એ જ અને આ આખી વાત મારા બાપા સિતારામને સાક્ષી રાખીને કહુ છું, આમા એક પણ શબ્દ ખોટો નથી. લી. અમિત અરવિંદ તન્ના.



