ખાસ-ખબર ન્યૂઝ પાટણ
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી એ જણાવ્યું કે, ભારતીય સેનાએ ’ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે. ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ મંત્રી બેચર ઠાકોર, નગરપાલિકા સદસ્ય, ખેતાજી ઠાકોર, સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ્સ જવાનો, દેરક સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા.