ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદી માહોલ સર્જાવાની આગાહી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં બુધવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુરૂવારના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તેમજ શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બુધવારના રોજ બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. ગુરૂવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં તેમજ શુક્રવારના રોજ ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવલાની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજ્યમાં પ્રથમવાર માર્ચ મહિનામાં માવઠું થતાં કૃષીપાકોને ઘણુ નુકશાન થયું હોવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ વખતે કમોસમી વરસાદ થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં વાતાવરણ નોર્મલ બની ઉનાળા જેવો માહોલ શરૂ થયો હતો. પરંતુ હવામાન ખાતાના સંકેતો મુજબ બુધવારથી ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે.
રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી
