પ્રશ્નોતરી રદ કરવા તથા ત્રણ જ દિવસનાં સત્ર સામે વિપક્ષનો વિરોધ: ભ્રષ્ટાચાર, દારૂબંધી, અંધશ્રધ્ધા સંબંધિત પાંચ વિધેયકો પેશ થશે
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસનાં ટુંકા સત્રનો આજથી પ્રારંભ થયો હતો. પ્રશ્નોતરીનો છેદ ઉડાડીને માત્ર ત્રણ જ દિવસનું સત્ર રાખવામાં આવ્યુ હોવાથી શાસક અને વિપક્ષો સામસામા છે. ભ્રષ્ટાચાર સહીતના મુદાઓ પર તડાફડી સર્જાવાના એંધાણ છે. ત્રણ દિવસનાં સત્રમાં સરકાર દ્વારા અંધશ્રધ્ધા-કાલાજાદુ પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કરવામાં આવશે.આ સિવાય દારૂ સાથે પકડાતા વાહનોની તત્કાળ હરાજીના અધિકાર ભ્રષ્ટાચારી અધિકારીઓની અપ્રમાણસર સંપતિ જપ્ત કરવા સહીત પાંચ વિધેયકો રજુ કરવામાં આવશે.
- Advertisement -
આવકના નિશ્ચિત સ્ત્રોત કરતા વધુ કમાણી કરીને અપ્રમાણસર સંપતિ ઉભી કરતા ભ્રષ્ટાચારીઓની ગેરકાયદે સંપતિ જપ્ત કરવાની ઝડપી પ્રક્રિયા માટે ખાસ કોર્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત પ્રોહીબીશન સુધારા વિધેયકમાં દારૂ સાથે પકડાતા વાહનોનાં કેસોમાં અદાલતી ચુકાદા પુર્વે જ હરાજીની સતા સરકારને મળશે. દારૂ સાથે પકડાતા વાહનો પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ જતા હોવાથી તેનો વહેલો નિકાલ શકય બનશે. અંધશ્રધ્ધા-કાળાજાદુ નામે લોકો સાથે થતી છેતરપીંડી શોષણ રોકવા માટે પણ તે વિશેનું મહત્વનું વિધેયક પેશ કરાયું છે.
કોંગ્રેસના વિપક્ષી નેતા અમીત ચાવડાએ વિધાનસભાનું સત્ર માત્ર ત્રણ દિવસનું રાખવા બદલ સરકારની ટીકા કરી હતી. વિવિધ મુદાઓ પર ચર્ચા થઈ શકે તે માટે 10 દિવસનું સત્ર રાખવાની માંગ કરી હતી. વિધાનસભા સત્રના આજના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સરકાર રચવા પર અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરાનાર છે. વિવિધ મુદ્દે સરકાર વિપક્ષો વચ્ચે હંગામો સર્જાવાના એંધાણ છે.