30 ડબ્બા ચોખ્ખું ઘી, 100થી વધુ ડબ્બા તેલ અને 50 ટન જેટલા શાકભજીનો બને છે પ્રસાદ : 50થી વધુ બહેનો અવિરત ગરમ રોટલા-રોટલી બનાવી સેવાયજ્ઞમાં જોડાઇ
જ્યાં ટૂકડો ત્યાં પ્રભુ ઢુકડો : શ્રી શેરનાથબાપુ
પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એનાથી વિપરીત ભવનાથમાં આશ્રમો-સેવકો-દાતાઓ-ઉતારા મંડળો ભાવિકો માટે લાખો રૂપિયા ખર્ચીને ભોજન પ્રસાદ જમાડી રહ્યા છે. ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરીવર ગિરનારની ગોદમાં યોજાતા મહા શિવરાત્રી મેળાનો આ જ તો મહિમા છે.તેમ જણાવી ગોરખનાથ આશ્રમ ભવનાથના મંહત શ્રી શેરનાથબાપુએ કહ્યુ કે, જ્યા ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો. અન્નદાનથી કોઇ મોટુ પૂણ્ય નથી.
- Advertisement -
મહા શિવરાત્રીના મેળામાં ગોરખનાથ આશ્રમ ખાતે પાંચ દિવસમાં હજારો ભાવિકો-યાત્રીઓ ભોજન પ્રસાદનો લાભ મેળવે છે. આમ તો અહિં કાયમી અન્નક્ષેત્ર ચાલે છે. પરંતુ મેળા દરમ્યાન 30 ડબ્બા ચોખ્ખુ ધી, 100 થી વધુ ડબ્બા તેલ, 50 ટન જેટલા વિવિધ શાકભાજી, મગદાળ, મગ, ચોખા, તુવેર દાળ સહિત મોટા પ્રમાણમાં કાચુ રાશન વપરાય છે.
મોહનથાળ, બુંદી, ગાઠીયા, ખીચડી, માલપુવા એમ દરરોજ અવનવી મીઠાઇ સાથે ગરમા-ગરમ રોટલા અને રોટલીનો પ્રસાદ પ્રણ ભાવિકોને મળે છે. છેક પાલીતાણાના હણોલ ગામથી સેવાકાર્યમાં સહભાગી થયેલા હંસાબેન કહે છે અમે તો જીંદગીનો સંતોષ માણવા આવ્યા છીએ. સુરતના મધુબેને રોટલા બનાવતા કહ્યુ કે ભાઇ અહિ તો ભાવિકો-યાત્રાળુઓમાં અમને ભગવાન દર્શન થાય છે.
ભવનાથના મેળામાં ગોરખનાથ આશ્રમ ઉપરાંત, ખોડીયાર રાસ મંડળ, ચીપીયાવાળા બાપુની જગ્યા, ભારતી આશ્રમ, મંગલનાજી આશ્રમ સહિત વિવિધ ગામ સમાજ જ્ઞાતિ મંડળના અન્નક્ષેત્રો પાંચ દિવસ સતત ધમધમતા રહેછે. 10 થી 12 લાખ લોકો પાંચ દિવસ મેળાને માણવા સાથે ભોજન પ્રસાદ મેળવે છે. પાંચ દિવસના મેળામાં આશ્રમો -સેવકોની સેવા સાથે જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ, કાર્પોરેશન સહિત તમામ વિભાગના અધિકારીઓ યાત્રીકોની સુવિધા માટે ખડેપગે રહે છે. યાત્રીકોને કોઇ મુશ્કેલી ના પડે તેની પુરતી તકેદારી લેવામાં આવે છે.


