વડોદરામાં 4 લોકો પર ટોળું તૂટી પડ્યું, ફાધરનાં કપડાં ફાડી નાખ્યાં હોવાના આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 25 ડિસેમ્બરના રોજ નાતાલનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઊજવાય એ માટે પોલીસ-બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ, મોડી રાત્રે નાતાલ પૂર્વે વડોદરાના મકરપુરા વિસ્તારની અવધૂત સોસાયટીમાં રહેતા ખ્રિસ્તી પરિવારના નિવાસસ્થાને શશિકાંત ડાભી સાંતાક્લોઝની વેશભૂષા ધારણ કરી વધામણાં આપવા ગયા હતા. તેમની સાથે ખ્રિસ્તી સમાજના કેટલાક અગ્રણીઓ પણ એનાં વધામણાંની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ શાંતિપૂર્ણ રીતે ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઉજવણી કરી રહ્યા હતા.
- Advertisement -
દરમિયાન અચાનક કેટલાક માથાભારે ઈસમોનું ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને ખ્રિસ્તી વધામણાંની ઉજવણી રોકી દીધી હતી તેમજ સાંતાક્લોઝ પર હુમલો કર્યો હતો, ડ્રેસ કાઢી નાખવાની ફરજ પાડી હતી. આ ઉજવણીમાં ભાગ લેનારા તમામને ધમકી આપી હતી કે આ વિસ્તાર હિન્દુઓનો છે, જેથી અહીં તમારે આ પ્રકારની ઉજવણી કરવાની નથી, એમ કહી હુમલો કર્યો હતો. એમાં સામસામે ઝપાઝપીમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ ઉપસ્થિત ફાધરનાં કપડાં પણ ફાડી નાખ્યા હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ રેવ માર્ટિન પ્રિટ્રિશને જણાવ્યું હતું કે મકરપુરા અવધૂત સોસાયટીમાં અમારા મેથોડિસ ચર્ચનાં ખ્રિસ્તી ભાઇઓ અને બહેનો નાતાલનાં વધામણાં માટે ગયાં હતાં. એ સમયે ખ્રિસ્તી સમાજના મેથોડિસ મંડળના અગ્રણી સહિત ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમે ખ્રિસ્તી સમાજના ઘરે પ્રેયર માટે જઈએ છે. મોડી રાત્રે અવધૂત સોસાયટીમાં ગયા હતા. એ સમયે 30થી 35 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવા માટે કોણ આવ્યું હતું એની ખબર નથી. અમે આ ઘટનાને વખોડી કાઢીએ છે.