ભાવનગર, પોરબંદર, સોમનાથ, જામનગર, માળીયા વગેરેને પણ પ્રોજેક્ટમાં લાભ
ઔદ્યોગિક-વિકસીત રાજ્ય ગણાતા ગુજરાતમાં વધુ એક નવો મહત્વનો પ્રોજેક્ટ શરુ થવાનો છે જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધી કોસ્ટલ કોરીડોર તૈયાર થશે. 2400 ક રોડના ખર્ચે 1630 કિલોમીટરના આ કોરીડોરમાં દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ ઉપરાંત ભાવનગર, પીપાવાવ, સોમનાથ, પોરબંદર, જામનગર, માળીયા સહિતનાં શહેરોને લાભ મળશે.ગુજરાતમાં પ્રવાસન અને ઔદ્યોગિક આર્થિક પ્રવૃતિને વેગ આપવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા 1630 કિલોમીટરની લંબાઈનો ભારતનો સૌથી મોટો કોસ્ટલ કોરીડોર હાઈવે તૈયાર કરવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. વડાપ્રધાન ગતિશક્તિ યોજના હેઠળ હાથ ધરાનારા આ પ્રોજેક્ટમાં હાઈવેની બંને બાજુએ ઔદ્યોગિક અને તેને સંલગ્ન પ્રવૃતિઓ માટે જમીન ખુલ્લી રાખવામાં આવશે. રાજ્ય સરકારે પ્રથમ તબકકામાં 300 કિલોમીટરના કામ માટેની તૈયારી શરુ કરી દીધી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત અને ભરુચ જિલ્લાઓને આવરી લેવામાં આવનાર છે.
- Advertisement -
રાજ્ય સરકારના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ભારતનો આ સૌથી લાંબો કોસ્ટલ કોરીડોર હશે. 1630 કિલોમીટરની લંબાઈમાંથી 140 કિલોમીટર ગ્રીન ફીલ્ડ કોસ્ટલ એરીયા તરીકે વિકસાવવામાં આવશે જ્યારે બાકીના 1490 કિલોમીટર નોર્મલ રોડ હશે. આ કોસ્ટલ હાઈવે 10 મીટરથી વધુ પહોળો હશે અને 3 ડ્રાઈવીંગ લેન હશે. અત્યારે આ રોડની પહોળાઈ 5 મીટરથી પણ ઓછી છે. કોસ્ટલ કોરીડોરની આસપાસની જમીનોને બફર એરીયા જાહેર કરવામાં આવશે અને ભવિષ્યનાં વિકાસ માટે અનામત રાકવામાં આવશે. આ પ્રોજેક્ટ વાસ્તવમાં કોસ્ટલ હાઈવે કોરીડોર બનશે.