ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અસ્થિરતાની અસરો ભારત પર પડવાની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે (12 માર્ચ) મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘દેશમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની અછત નથી. કાચા ઓઇલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.’ખાસ કરીને રાંધણ ગેસના મુદ્દે હરદીપ સિંહ પુરીએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે ‘છેલ્લા પાંચ દિવસમાં દેશમાં એલપીજીના ઉત્પાદનમાં 28 ટકાનો ધરખમ વધારો કરાયો છે. ગેસ સિલિન્ડરની બુકિંગથી ડિલિવરી સુધીનો સમય અત્યારે માત્ર 2.5 દિવસનો છે. પેનિક બુકિંગ અને કાળાબજારી રોકવા માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે, જે મુજબ શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસના અંતરાલ પછી જ નવું બુકિંગ કરી શકાશે.’ મંત્રીએ વધુમાં કહ્યું કે, વૈશ્વિક સ્તરે કિંમતો વધવા છતાં ભારતીય ગ્રાહકો પર બોજ ન વધે તે માટે સરકાર મક્કમ છે અને કોઈપણ લાંબા ગાળાના સંકટને પહોંચી વળવા માટે ત્રણ મંત્રીઓની સમિતિ સતત નિરીક્ષણ કરી રહી છે. સરકારે ઘરેલુ જરૂરિયાતોને પ્રાથમિકતા આપતાં ઈગૠ અને પાઇપ્ડ ગેસની 100 ટકા સપ્લાય સુનિશ્ચિત કરી છે. જ્યારે ઉદ્યોગોને 80 ટકા અને ખાતરના પ્લાન્ટને 70 ટકા ગેસ ફાળવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ એલપીજી સપ્લાયમાં અગ્રતા આપવામાં આવી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ સેક્ટરને એલપીજી પરનું દબાણ ઘટાડવા માટે એક મહિના સુધી બાયોમાસ અને કેરોસીન જેવા વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટ અપાઈ છે.
- Advertisement -
ભારતે 40થી વધુ દેશોમાંથી ઓઇલની આયાત શરૂ કરી : પેટ્રોલિયમ મંત્રી
સંસદમાં તેમણે કહ્યું કે, ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતું વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ અને એલપીજીને અસર થઈ છે. જોકે ભારત સુરક્ષિત છે. ભારતે પોતાની રણનીતિ બદલીને હવે હોર્મુઝ સિવાયના અન્ય વૈકલ્પિક માર્ગો દ્વારા 40થી વધુ દેશોમાંથી ઓઇલની આયાત શરૂ કરી છે. કેનેડા, નોર્વે અને રશિયા જેવા દેશો પાસેથી પુરવઠો મેળવીને ભારતે બિન-હોર્મુઝ સ્ત્રોતો પરની નિર્ભરતા વધારીને 70 ટકા સુધી પહોંચાડી દીધી છે, જેના કારણે વૈકલ્પિક સપ્લાય ચેઇન સક્રિય થઈ ગઈ છે.’



