કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો
ફ્રૂટ લેવા ગયેલા યુવકે લારી નજીક બાઇક પાર્ક કરતાં જ ત્યાં ઊભેલા બંને આરોપીએ દૂર પાર્ક કરવાનું કહી ગાળો ભાંડી છરીથી તૂટી પડ્યા.
શહેરમાં નજીવી બાબતે હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો, કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે ફ્રૂટ લેવા ગયેલા યુવકને બાઇક દૂર પાર્ક કરવાનું કહી બે આરોપીએ છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, પોલીસે એકને ઝડપી લીધો હતો જ્યારે નાસી છૂટેલા એકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
- Advertisement -
કોઠારિયા રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતો પરાક્રમસિંહ ઘનુભા પઢિયાર (ઉ.વ.22) મંગળવારે રાત્રે 8.15 વાગ્યાના અરસામાં પોતાનું બાઇક લઇને રણુજા મંદિર નજીક લારીએ ફ્રૂટ લેવા ગયો હતો, લારી નજીક જઇ પરાક્રમસિંહે પોતાનું બાઇક પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ત્યાં ઊભેલા બે શખ્સે તેને દૂર બાઇક પાર્ક કરવાનું કહ્યું હતું, જગ્યા હોવા છતાં બાઇક પાર્ક કરવાની શા માટે ના કહો છો તેમ યુવકે કહેતા બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને ગાળો ભાંડવા લાગ્યા હતા.
નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીમાં બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને પરાક્રમસિંહ પર છરીથી હુમલો કરી દીધો હતો, અને યુવકને છરીના બે ઘા ઝીંકી દીધા હતા. સમીસાંજે સરાજાહેર યુવકને છરીના ઘા ઝીંકાતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. હિચકારા હુમલાથી પરાક્રમસિંહ પઢિયાર લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો, અને લોકોએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ યુવકનું મોત નીપજ્યું હતું.