પ્રથમ વખત ભાગ લઈ રહેલી સુરતની 19 વર્ષિય નાગપુરે સિલ્કીએ બાજી મારી, ભાઈઓમાં સુરતના અનિકેત પટેલે મેદાન માર્યું
અરબી સમુદ્રની ઉછળતી તોફાની લહેરોને મ્હાત આપી 21 જેટલા તરવૈયાઓએ 32મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. આ સ્પાર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતનો અનિકેત પટેલે 5 કલાક 5 મિનિટ અને 40 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. જ્યારે બહેનોમાં 19 વર્ષિય નાગપુરે સિલ્કએ 3 કલાક 48 મિનિટ અને 20 સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી.
આ સ્પર્ધાનો ચોરવાડથી સાંસદ શ્રી રાજેશભાઇ ચૂડાસમાએ દરિયાદેવની વિધિવત પૂજન કરી અને લીલી ઝંડી આપી આ 32મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. ચોરવાડથી વેરાવળ બંદર સુધીની 21 નોટીકલ માઈલની ભાઈઓ માટેની આ સ્પર્ધામાં સુરતના કાનીરકર નિલયે 5 કલાક 13 મિનિટ અને 36 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી દ્વિતીય ક્રમે રહ્યો હતો. જ્યારે તૃતીય ક્રમે પૂણેનો કાંબલે સાગરે 5 કલાક 15 મિનિટ અને 32 સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. આદ્રીથી વેરાવળ બંદર સુધીની 16 નોટીકલ માઈલની બહેનો માટેની આ સ્પર્ધામાં સુરતની ડોલ્ફી સારંગ 4 કલાક અને 11 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી દ્વતીય ક્રમે રહ્યા હતા. જ્યારે તૃતીય ક્રમે રહેનાર સુરતના જ સેલર દર્શનાએ 4 કલાક 6 મિનિટ અને 12 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.આ વિજેતા તરવૈયાઓને વેરાવળની ખારવા સમાજની વાડી ખાતે મેડલ, પ્રમાણપત્ર અને પુરસ્કાર રાશીનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તરવૈયાઓને પણ મેડલ અને પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. કઠિન ગણાતી આ સ્પર્ધામાં અરબી અસુદ્ર ઉછળતી તોફાની લહેરો વચ્ચે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાંથી આવેલા તરવૈયાઓએ પોતાની હિંમત અને કૌવતનો પરિચય કરાવ્યો હતો. મહત્વનુ છે કે, આ સ્પાર્ધામાં ભાઈ માટે 21 નોટીકલ માઈલ અને બહેનો માટે 16 નોટીકલ માઈલ જેટલુ દરિયામાં તરીને અંતર કાપવાનુ હોય છે. હરિઓમ આશ્રમ, નડિયાદ- સુરત તરફથી પ્રથમ, દ્વીતીય, અને તૃતીય ક્રમે ભાઈઓ-બહેનોના વર્ગમાં વિજેતા તરવૈયાઓને અનુક્રમે 1 લાખ, 51 હજાર અને 31 હજારને શિષ્યવૃત્તિ સ્વરૂપે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.


