શિક્ષક અભિરુચિ કસોટીની પરીક્ષા રાજકોટના 90 કેન્દ્રો પર યોજાશે: સૌરાષ્ટ્રના 24 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી 6 ઓગસ્ટે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની પરીક્ષા યોજાશે. જેમાં રાજકોટ શહેરના 90 કેન્દ્રો ઉપર સૌરાષ્ટ્રના કુલ 24000 ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે ખાસ પોલીસ કમિશનરે કેન્દ્રની આસપાસની 100 મીટરની ત્રિજ્યામાં અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. હાલ પરીક્ષા કેન્દ્રો ઉપર આ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
- Advertisement -
રાજકોટ ડી.ઈ.ઓ. બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા તા. 6 ઓગસ્ટના રવિવારે શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)ની પરીક્ષા લેવાશે. જેમાં સૌરાષ્ટ્રના 24000 ઉમેદવારો રાજકોટના 90 જેટલા કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. રવિવારે બપોરે 12થી 3 દરમિયાન આ પરીક્ષા લેવાશે. જે પ્રિલિમ્સ પરીક્ષા હશે. ત્યારબાદ મેરીટમાં આવતા ઉમેદવારો માટે આગામી સમયમાં મેઈન્સની પરીક્ષા લેવાશે.
દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પરીક્ષાને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પરીક્ષા દરમિયાન કેન્દ્ર આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિઓ, સ્ટેશનરી, ઝેરોક્ષ મશીન રાખીનહીં શકે, શાળામાં વાહનો લાવી નહીં શકે. પ્રશ્નપુત્રને લગતું સાહિત્ય, પુસ્તક, મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ છે.
પરીક્ષા ખંડમાં સુપરવાઈઝર પણ તેનો મોબાઈલ લઇ જઈ શકશે નહીં. આ સાથે જ પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલક સહિતનાએ પોતાનું ઓળખકાર્ડ સાથે રાખવું રજીયાત છે.