NOC-BU સર્ટિફિકેટ મામલે નાના વેપારીઓ-ધંધાર્થીઓ હેરાન-પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટમાં ટીઆરપી ઝોનની દુર્ઘટના બાદ તંત્રને બધું સમુસુતરું કરી લેવાનું સુરાતન ચડ્યું છે. મનપાની ટિમ દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોય તેવા એકમો-મિલકતોને ઠેકઠેકાણે નોટિસ આપી સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીમાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ-ધંધાર્થીઓનો મરો થયો છે, તેમના વેપાર-ધંધા ટપોટપ બંધ થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા એકાદ અઠવાડિયામાં 250 જેટલા એકમો-મિલકતોને સીલ મારવામાં આવ્યા છે જેમાંથી મોટાભાગના એકમો-મિલકતો નાના-ગરીબ વેપારીઓ-ધંધાર્થીઓના છે.
- Advertisement -
અગ્નિકાંડની ઘટના બાદ સરકારના આદેશથી તંત્ર દ્વારા જે પ્રકારે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે મુજબ ગેરકાયદે બાંધકામો કે ડોમ હોય તો તે દૂર કરવાના હોય છે. શાળા, કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ બિલ્ડીંગ અને બેંકોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવાના હોય છે, ફાયર એનઓસી સાથે બીયુ સર્ટિફિકેટ લેવાનું હોય છે. અગ્નિકાંડની ઘટના બાદ સૌ સતર્ક બની ફાયરના સાધનો મૂકવા અને એનઓસી મેળવવા તૈયાર પણ છે જોકે આ રાતોરાત શક્ય નથી એટલું તંત્રએ સમજવું પડશે. નાના વેપારીઓ-ધંધાર્થીઓને ફાયર સાધનો મૂકવા અને જરૂરી કાગળિયા મેળવવા સમય આપવો પડશે.
રાજકોટમાં ટીઆરપી ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મામલે આડેધડ કાર્યવાહી શરૂ કરવામાં આવતા નાના વેપારીઓ-ધંધાર્થીઓમાં તંત્ર અને સરકાર વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. તંત્ર જ્યાં ભીડ વધુ ભેગી થતી હોય તેવા એકમો-મિલકતોમી જગ્યાએ મકાનો, દુકાનો, શાળા, ક્લાસને ટાર્ગેટ કરી સીલ કરી મારી રહી છે. કેટલાય મોટામોટા કોમ્પ્લેક્સથી લઈ ખુદ મનપાની માલિકીની ઈમારતમાં ફાયર સાધનો નથી છતાં તંત્ર એ મામલે વ્હાલાદવલાની નીતિ રાખી કામગીરી કરી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમઝોનની દુ:ખદ દુર્ઘટના બાદ શહેરભરમાં ફાયર એનઓસી, બીયુ પરમીશન અને વીજલોડ બાબતે ચેકિંગ ઝુંબેશ પૂરજોશમાં છે. આ ઝુંબેશમાં સૌથી વધુ નુકસાન નાના માણસોને થઈ રહ્યું છે. કેટલાય લોકોના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે. કેટલાય લોકોએ તો તંત્રની કાર્યવાહીથી બચવા વેપાર-ધંધાના સ્થળ સ્વૈચ્છિક બંધ રાખ્યા છે. હવે આ બધું ક્યાં જઈ અટકશે? કેમ કે, રાજકોટમાં 80 ટકા જેટલી મિલકતો-બાંધકામમાં ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ છે જ નહીં. રાતોરાત ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ મેળવવું શક્ય નથી ત્યારે તંત્ર નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મજબૂરી સમજે એ આવશ્યક છે.
- Advertisement -
તંત્રની કડક કાર્યવાહીથી ફાયર સાધનોના ભાવમાં રાતોરાત વધારો, વેપારીઓની મજબૂરીનો ઉઠાવાતો ગેરફાયદો
રાજકોટમાં હોટલ-રેસ્ટોરન્ટથી માંડી શાળા, ટ્યુશન ક્લાસ, ખાનગી હોસ્પિટલો સહિતના સ્થળે તંત્ર દ્વારા ફાયર સેફટી મામલે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ક્ષતિ નજરે પડે તો તાત્કાલિક એકમોને સીલ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. આ આકરી કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓ ફાયરના સાધનો વસાવવા દોડ લગાવી રહ્યા છે. આ સમયને અવસર ગણી ફાયરના સાધનોનું કામકાજ કરનારા ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. ફાયરની બોટલ રીફ્લિંગનું અગાઉ 300 થતું હતું તેના હવે 500થી 600 રૂપિયામાં થઈ રહ્યું છે. ઉપરાંત ફાયરનાં તમામ સાધનોમાં 30 ટકા જેટલો વધારો આવ્યો છે. રાજકોટના વેપારીઓ ફાયરના સાધનો ખરીદવા દોડધામ કરી રહ્યાં છે, જેનો સીધો ફાયદો ફાયર સાધનો વેચનારા, રીફ્લિંગ કરનારા ઉઠાવી રહ્યા છે. ફાયરનાં સાધનોના ભાવમાં રાતોરાત વધારો થયો છે સાથે જ ફાયરની બોટલ રીફ્લિંગનાં ભાવ ડબલ થઈ ગયા છે.
અધિકારીઓ-પદાધિકારીઓ પર પગલાં ભરવામાં સરકારે લાજ કાઢી: નાના વેપારીઓને બલીને બકરો બનાવી સંતોષ માન્યો
ટીઆરપી અગ્નિકાંડની ઘટનાના દસ દિવસ પછી પણ જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓ આરામથી હરીફરી રહ્યા છે, માત્ર કેટલાક નાના કર્મચારીઓ પર કેસ દાખલ કરી તપાસનું ડીંડક ચલાવવામાં આવી રહ્યું છે. હાલ કાર્યવાહીના નામે માત્ર ફાયરના સાધનો ન હોય તેવા એકમો-મિલકતો ધરાવતા નાના નાગરિકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે, બલીનો બકરો બનાવવામાં આવ્યા છે. તંત્ર નાના એકમો-મિલકતો સીલ કરી કાર્યવાહી કરી રહી હોવાનો સંતોષ માની રહ્યું છે પરંતુ અગ્નિકાંડની આખીયે ઘટના પાછળ મુખ્ય અધિકારીઓ-પદાધિકારીઓ પર પગલાં લેવામાં સરકાર લાજ કાઢી બેઠી છે અને તંત્રને આદેશ કરી ફાયર એનઓસી તેમજ બીયુ સર્ટિફિકેટ મામલે નાના વેપારીઓ-ધંધાર્થીઓ પર તવાઈ બોલાવી રહી છે. સરકાર-તંત્રની આ નીતિના કારણે નાના માણસોનો મરો થઈ ગયો છે. જો સરકાર કે તંત્ર એ હકીકતમાં કોઈ કાર્યવાહી કરવી હોય તો અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓને જેલ ભેગા કરવા જોઈએ, નહીં કે અગ્નિકાંડની ઘટના બાદ કાર્યવાહીના નામે ફાયર સાધન ન ધરાવતા નાના વેપારીઓ-ધંધાર્થીઓના એકમને સીલ મારી દેવા જોઈએ.
પૈસા અને પોલિટિકલ પાવર ધરાવતા ન હોય તેમની જ મિલકત સીલ કરાઈ છે
મનપાની ટિમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પર શંકા-સવાલો ઉઠી રહ્યા છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ચકાસણી દરમિયાન જેમની પાસે પૈસા કે પોલિટિકલ પાવર ન હોય તેમની જ મિલકત સીલ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટાભાગે નાના વેપારીઓ-ધંધાર્થીઓ જ સામેલ છે. મોટા એકમ-મિલકત ધરાવનારાઓ પર તંત્ર દ્વારા ભાગ્યે જ ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ ન હોવા પર સીલ કરવામાં આવે છે. મસમોટા એકમો-મિલકતોમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટના ધાંધિયા હોવા છતાં પહોંચતી વ્યક્તિઓ અને સુખીસંપન્ન ઉદ્યોગપતિઓના ગેરકાયદે બાંધકામ સામે તંત્ર આંખ આડા કાન કરી માત્ર નાના વેપારીઓ-ધંધાર્થીઓનો જ શિકાર રહ્યું છે. મનફાવે તેમ મિલકતો સીલ કરી દેવાની તંત્રની સમગ્ર કાર્યવાહી શંકાના દાયરામાં છે.
તંત્રની તાનાશાહી સામે ભાજપ-કોંગ્રેસના નેતા તમાશો જોઈ મૌન ધારણ કરી બેઠા
અધિકારીઓના ભ્રષ્ટાચારની સજા નાના વેપારીઓ-ધંધાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં મોટાભાગની મિલકતો ત્રીસ-ચાલીસ વર્ષ જૂની છે ત્યારે આ મિલકતોનું બીયુ સર્ટિફિકેટ રાતોરાત મેળવી શકાતું નથી પરંતુ તંત્રને બીયુ સર્ટિફિકેટ ન હોય તેવી મિલકતો પર તવાઈ બોલાવી તાનાશાહીભર્યું વર્તન કરી રહ્યું છે અને પ્રજાએ ચૂંટેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે. નાના માણસોને પડતી અગવડને નગરસેવકો અને રાજકીય નેતાઓ જે પ્રકારે અવગણી રહ્યા છે તેને જોતા આવનારા સમયમાં તંત્ર-સરકાર વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરે તો નવાઈ નહીં.



