47 કોલસાની ખાણમાંથી આશરે 3200 ટન કોલસો કાઢવામાં આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દશકાથી ચાલતા કોલસાના કારોબાર સામે હવે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા એકલા હાથે કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ જિલ્લાનું તંત્ર છેલ્લા ત્રણ દાયકામાં નથી કરી શકી તે કામ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા એકલા હાથે પોતાની ટીમ સાથે મળીને કરી બતાવ્યું છે ત્રણ દાયકાથી ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનમાં પેધી ગયેલા ખનિજ માફિયાઓને ન કાયદાનો ડર હતો કે ન તો પર્યાવરણને થયા નુકશાનની કોઈ ચિંતા જેથી બેરોકટોક અને દિન દહાડે ચાલતા કોલસાના ખનન અવિરત રીતે ચાલતું હતું. પરંતુ જે પ્રકારે એકાદ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2023-24માં સુરેન્દ્રનગર જિલ્લા તત્કાલીન ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટ ખરી કરી રહ્યા હતા તે મુજબ પોતાના કાર્યકાળ દરમિયાન અંદાજે બે હજારથી પણ વધુ કોલસાની ખાણો લગભગ એકાદ કરોડના ખર્ચે પૂરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ કોઈ કારણોસર ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે અચાનક રાજીનામું ધરી દીધું હતું.
- Advertisement -
જેથી ઈનચાર્જ ભૂસ્તર શાસ્ત્રી તરીકે મોરબીના જગદીશભાઈ વાઢેરને મૂકવામાં આવ્યા હતા જોકે બે જિલ્લાનો ચાર્જ હોવાથી ઈનચાર્જ અધિકારી કોઈ ખાસ કોલસાના ખનન સામે કાર્યવાહીમાં ધ્યાન આપી શક્યા નહીં જેથી ધમધમતા કોલસાના કારોબારમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી આરંભી ખનિજ વહન અને ત્યારબાદ થાનગઢના ભડુલા તથા જામવાડી વિસ્તારમાં મેગા દરોડા કરી આશરે 247 જેટલી ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડા કરી ટ્રેક્ટર, ચરખી અને આશરે 3200 ટન કોલસાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ બંને વિભાગને દૂર રાખી આખોય રેડને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. સતત 60 કલાક જેટલા સમય સુધી કાર્યવાહી કરી કરોડોનો મુદામાલ જપ્ત કર્યો હતો. પરંતુ અહીં સવાલ એવો પણ થાય કે જ્યાં સુધી 247 જેટલી કોલસાની ખાણો ખોદાઈ ગઈ અને 3200 ટન જેટલો જથ્થો જમીનમાંથી કાઢવામાં આવ્યો ત્યાં સુધી તંત્રના એકપણ અધિકારીને જાણ ન હતી ? જોકે આટલો મોટો જથ્થો જપ્ત કર્યો પરંતુ આ કાર્યવાહી પૂર્વે લગભગ ત્રણ દાયકાથી ચાલતા કોલસાના ખનનમાં કેટલા કરોડનો જથ્થો જમીનમાંથી કાઢીને વેચાણ થઈ ચૂક્યો હશે તેની કલ્પના કરીએ તો પણ આખાય રાજ્યનું દેણું ચૂકતે થઈ જાય એટલો આંકડો સામે આવે છે. અત્યાર સુધી જિલ્લા ખાણ ખનિજ વિભાગ અને પોલીસ વિભાગ પણ કાર્યરત હતું છતાં પણ કોઈ અધિકારી દ્વારા કાર્યવાહી નહીં કરી હોવાનું પણ સ્પષ્ટ થયું છે.