સોરઠ પંથકમાં આંધી સાથે મિની વાવાઝોડાંથી પાકને નુકસાન
મોડી રાત્રે ભારે પવન સાથે વંથલી અને વિસાવદરમાં વરસાદ
- Advertisement -
કેસર કેરીઓ ખુબ મોટા પ્રમાણમાં ખરી પડતા ખેડૂતોને મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ હવામાન વિભાગની આગાહીના પગલે સોરઠ પંથકમાં ભારે પવન સાથે આંધી અને મીની વાવાઝોડું મોડી રાત્રે આવતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય સાથે અનેક વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી અને નાના હોર્ડીંગ સાથે પતરા ઉડ્યા હતા જયારે જૂનાગઢ શહેર અને તાલુકાઓમાં વીજળી ગુલ થતા લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો જયારે વંથલી અને વિસાવદરમાં વરસાદ પડતા ખેતી પાકને નુકશાન જોવા મળ્યું હતું બાકી અન્ય તાલુકામાં છુટાછવાયા વરસાદના છાંટા પડ્યા હતા જેના લીધે કેરીના પાકને નુકશાની સાથે આંબાની ડાળીઓ પણ તૂટી જવા પામી હતી.
- Advertisement -
સોરઠ પંથકમાં ભારે પવન સાથે મીની વાવાઝોડું મોડી રાત્રે ત્રાટકતા વિસાવદરમાં વરસાદ પડતા મગ, બાજરી, તલના ખેતી પાકને નુક્શની જોવા મળી રહી છે.અને કેસર કેરીની બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકશાની જોવા મળી હતી જેમાં આંબાના બગીચાની કેરીઓ ખરી પડી હતી અને તેની સાથે અનેક આંબાના વૃક્ષોની ડાળીઓ તૂટી જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ વંથલીમાં પણ વરસાદ પડ્યો હતો જયારે વંથલી તાલુકામાં કેસર કેરી, ચીકુ સહીત બાગાયત ખેતી મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે ભારે પવન સાથે મીની વાવાઝોડા સાથે વરસાદ પડતા બાગાયત ખેતીમાં નુકશાની જોવા મળી હતી ત્યારે વંથલી તાલુકાની કેસર કેરી હજુ બજારમાં આવી પણ નથી ત્યારે મીની વાવાઝોડાના લીધે ખેડૂતોને પડ્યા પર પાટુ લાગ્યું છે.
જૂનાગઢ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે આંધી આવતા શહેર સહીત આસપાસના વિસ્તારોમાં ધુળની ડમરીઓ ઉડી હતી તેની સાથે નાના મોટા વૃક્ષો પડી ગયા હતા અને ડાળીઓ તૂટીને રસ્તા પર આવી ગઈ હતી તેમજ દુકાનો પર લગાવેલ પતરા પણ ઉડ્યા હતા જેના લીધે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થયો હતો અને લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો જોકે મીની વાવાઝોડાના લીધે કોઈ મોટી નુકશાની જોવા મળી નથી તેની સાથે કોઈ જાનહાની સમાચાર પણ નથી મીની વાવાઝોડાના લીધે ધૂળની ડમરી અને રોડ પરનો કચરો ઉડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
વરસાદ અને આંધીની આગાહી પગલે યાર્ડમાં કેરીની અવાક વધી
હવામાન વિભાગ દ્વારા તા.13 થી 16 મે સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકવાની આગાહીના પગલે કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો પણ સજાગ બન્યા હતા અને ગઇકાલે જૂનાગઢ યાર્ડ અને તાલાલા યાર્ડ સહીતના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની અવાક વધી હતી વરસાદના લીધે વધુ કેરીના પાકને નુકશાન ન થાય તેના માટે એકજ દિવસમાં હજારો કેરીના બોક્સ યાર્ડમાં ઠલવાય ગયા હતા જોકે હજુ 16 મે સુધી આગાહી છે જેના પગલે બાગાયત ખેતી કરતા ખેડૂતો સાવચેતીના ભાગ રૂપે ઝાડ પરથી બાગાયત ફળ ઉતારીને યાર્ડ સુધી પોંહચતા કર્યા છે.જેના લીધે ફ્રૂટ માર્કેટમાં કેસર કેરી અને અન્ય ફૂટની અવાક વધી છે.