સોનાથી જડેલો કળશ દૂરથી જ ચમકી રહ્યો છે; 5 જૂને રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કરાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.03
- Advertisement -
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે મંદિરના ભવ્ય અને ચમકતા સોનાથી જડિત શિખરની તસવીરો જાહેર કરી. મંદિરમાં 5 જૂને રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. આ માટે અનુષ્ઠાન 3 જૂનથી શરૂ થશે.
5 જૂને, અયોધ્યા રામ મંદિરમાં રામ દરબાર સહિત 7 મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે. ગંગા દશેરા પર સવારે 11 વાગ્યા પછી અભિજિત મુહૂર્તમાં પૂજા શરૂ થશે. પ્રાણપ્રતિષ્ઠામાં અયોધ્યા અને કાશીના 101 આચાર્યો ભાગ લેશે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટ દ્વારા સીએમ યોગીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. યોગીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. પ્રાણપ્રતિષ્ઠાનો અનુષ્ઠાન કાર્યક્રમ 3 જૂનથી શરૂ થશે. આ પહેલાં 2 જૂને મહિલાઓ દ્વારા સરયૂ જળ કળશ યાત્રા કાઢવામાં આવશે. 3 જૂનના રોજ સવારે 6.30 વાગ્યાથી બધાં મંદિરોમાં વિશેષ પૂજા-પાઠ શરૂ થશે અને રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. બપોરે 1 કલાકનો આરામ હશે. એવી જ રીતે 4 જૂને પણ વિશેષ પૂજા-પાઠ કરવામાં આવશે. ત્યાર બાદ 5 જૂને સવારે 5.30 વાગ્યે પૂજા શરૂ થશે. 11 વાગ્યા પછી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. મંદિરના પહેલા માળે રામ દરબાર સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે કમ્પાઉન્ડ વોલમાં 6 મંદિરમાં ભગવાન સૂર્ય, ગણેશ, હનુમાન, શિવ, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરોમાં 5 જૂને પ્રાણપ્રતિષ્ઠા થશે.
આ ઉપરાંત સપ્ત મંડપમાં 7 મંદિર બનેલાં છે, જેમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વશિષ્ઠ, નિષાદરાજ, અહિલ્યા અને શબરીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હજુ સુધી એ નક્કી થયું નથી કે પહેલા માળે આવેલા રામ દરબાર અને કિલ્લામાં આવેલાં 6 ભગવાન સૂર્ય, ગણેશ, હનુમાન, શિવ, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાનાં મંદિરો કયા દિવસે ભક્તોનાં દર્શન માટે ખોલવામાં આવશે. મંદિરના પશ્ચિમ ભાગમાં એક લિફ્ટ લગાવવામાં આવી રહી છે.