508 જગ્યા સામે માત્ર 46ની ભરતી: સ્ટાફની ઘટ કાયમ માટે રહેવાની
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા બન્યું તેેને 2 દાયકા કરતા વધુ સમય વિતી ગયો છે. છતાં પણ હજુ સુધી મંજૂર થયેલ મહેકમ મુજબ સ્ટાફની ભરતી કરાતી નથી. પરિણામે કામગીરી પર અસર પડી રહી છે. એક અધિકારી પાસે એક કરતા વધુ ચાર્જ હોય તેમના પર કામનું ભારણ વધી જાય છે. પરિણામે ક્વોલીટી વર્કની આશા રાખવી પણ વધુ પડતી ગણાય છે. આવું થવાના કારણે જ લોકોની અનેક સમસ્યાઓનો હજુ યોગ્ય નિકાલ થઇ શક્યો નથી. રાજ્ય સરકાર દર વર્ષે અબજો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પરંતુ માત્ર ગ્રાન્ટથી કામ થોડું થાય છે? તે માટે પુરતો અને ક્વોલીફાઇડ સ્ટાફની જરૂર પડે છે.
મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત બહાર પડાઇ છે. આમાં વર્ગ 3 માટે 46 કર્મીઓનીની ભરતી કરવામાં આવનાર છે જેના ફોર્મ 9 જાન્યુઆરી ઓનલાઇન ભરાશે. જોકે, મંજૂર થયેલ મહેકમ મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં વર્ગ 3ની કુલ 638ની જગ્યા છે. તેની સામે કાયમી કર્મીઓ માત્ર 130 છે.
આમ, 508 જગ્યા ખાલી છે. ત્યારે 508 જગ્યા સામે માત્ર 46 કર્મીઓની ભરતી કરવાની જાહેરાત કરાઇ છે. પરિણામે સ્ટાફની ઘટ કાયમ માટે રહેવાની છે. સાથે આ ખાલી જગ્યા પર આઉટ સોર્સિંગથી ભરતી કરી કામગીરી ચલાવાય છે તેને બદલે કાયમી અને ક્વોલીફાઇડ સ્ટાફની ભરતી કરવી જોઇએ જેથી પ્રજાની અનેક સમસ્યાઓનો સત્વરે અને યોગ્ય રીતે નિકાલ થાય.
- Advertisement -
વર્ગ 3 માટેની આ પોસ્ટ માટે ભરતી થશે
વર્ગ 3 માટેની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં ઇન્સ્પેકટરની 3 જગ્યા, નાયબ એકાઉન્ટન્ટની 2 જગ્યા, નાયબ કાર્યપાલક ઇજનેર(સિવિલ)ની 3 જગ્યા,આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની 6 જગ્યા, ઓવરશિયર(સિવિલ)ની 8 જગ્યા,ઇલેકટ્રીકલ ઇન્સ્પેક્ટરની 3 જગ્યા,ફૂડ સેફ્ટી ઓફિસરની 2 જગ્યા, સેનેટરી ઇન્સ્પેકટર કમ વોર્ડ ઓફિસરની 16 જગ્યા,લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની 3 જગ્યા મળી કુલ 46 જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટેની અરજીઓ મંગાવાઇ છે. તે અરજીઓ આવ્યા બાદ પરીક્ષા લઇ મેરીટ મુજબ તેમની ભરતી કરવામાં આવશે.