‘ખાસ-ખબર’ની ખાસ મુહિમ રંગ લાવી
તંત્રની બેદરકારીને ઢંઢોળતાં અહેવાલો બાદ રાજ્ય સરકાર હરકતમાં
રખડતા ઢોરના ત્રાસ અંગે રાજ્ય સરકાર 31મી માર્ચે વિધાનસભામાં બિલ લાવશે
રખડતા ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત, તમામને ટેગ લગાવાશે; 5થી 20 હજાર દંડ
રખડતા ઢોરના ત્રાસ અંગે ખાસ-ખબર દ્વારા સમયાંતરે તંત્રની બેદરકારીને ઢંઢોળતાં અહેવાલ પ્રકાશિત કર્યા છે. હાલમાં જ બે દિવસ અગાઉ રખડતા ઢોરથી રાજકોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી તેમજ એક દિવસ અગાઉ રખડતા ઢોરથી રાજકોટમાં વધુ બે વૃદ્ધ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ અંગે પણ ખાસ-ખબર દ્વારા સતત બે દિવસથી ખાસ અહેવાલ પ્રકાશિત કરી રખડતા ઢોરનાં ત્રાસને દૂર કરી જનતાને સુરક્ષા અપાવવાનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. રાજકોટમાં ડિજીટલ દૈનિક ખાસ-ખબરના આ અહેવાલની અસર છેક ગાંધીનગર સુધી થઈ હતી અને રાજ્ય સરકારે રખડતા ઢોરનાં ત્રાસમાંથી જનતાને મુક્તિ સાથે સુરક્ષા અપાવવા અંગે કડક કાયદો ઘડવાનું નક્કી કર્યું છે. રખડતા ઢોરના ત્રાસ અંગે ખાસ-ખબરમાં ચલાવવામાં આવેલી ખાસ મુહિમ રંગ લાવી છે, એટલે કે હવે રખડતા ઢોરનાં ત્રાસમાંથી જનતાને મુક્તિ ને સુરક્ષા મળશે, રાજ્ય સરકાર રખડતા ઢોર વધુ ત્રાસ વર્તાવે કે કોઈનો ભોગ લે તે પહેલાં કડક કાયદો બનાવશે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને કારણે સર્જાતા અનેક અકસ્માતો અને નિર્દોષોને જીવ ગુમાવવા પડતા હોવાની સમસ્યાના ઉકેલ માટે હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31મી માર્ચે વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. બિલની જોગવાઇ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે. શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇઓ બિલમાં કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ પણ આકરા દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે.પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાઈસન્સ મેળવવું પડશે. લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાની રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાઈસન્સ ઇન્સ્પેક્ટર નિયુક્ત કરશે.
- Advertisement -
રાજકોટ શહેરને પશુ મુક્ત કરવા 2ને બદલે હવે 4 ટીમ કામે લાગશે : મેયર પ્રદિપ ડવ
રખડતાં ઢોરને પકડવામાં કોર્પોરેશનને મહિનાનો 15 લાખનો ખર્ચ
રાજકોટમાં રખડતાં ઢોરને કારણે મવડી પાસે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યાં આ ઘટનાનું પુનરાવર્તન થતાં બીજા દિવસે રૈયાધાર પાસે રખડતાં ઢોરે બે વૃધ્ધ મહિલાઓને હડફેટે લેતાં લોકોમાં આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ ખબર દ્વારા રખડતાં ઢોરના પ્રશ્ન અંગે સચોટ અને ધારદાર મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા. તેથી ખાસ ખબરે રખડતાં ઢોર વધુ કોઈનો ભોગ ન લે તે માટે રાજકોટ કોર્પોરેશન આગામી સમયમાં ક્યાં સચોટ પગલાં લેવાના છે તે અંગે મેયર પ્રદિપ ડવ સાથે વાતચીત કરી હતી.
મેયર ડવે ખાસ ખબરને રાજકોટમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી વિશે જણાવતાં કહ્યું હતું કે, મારા કાર્યકાળ પહેલાં રોજના 15 થી 20 ઢોર પકડવામાં આવતાં હતા પરંતુ મારા કાર્યકાળ પછી હવે રોજના 70 થી 75 જેટલા ઢોર પકડવામાં આવે છે. રાજકોટ શહેર પશુમુક્ત બને તે માટે પશુ પકડવાની ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં 2 હતી હવે 4 ટીમ કામ કરશે. ખાસ કરીને જે વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ હશે ત્યાં વધુ ધ્યાન રાખવામાં આવશે અને વિસ્તારને પશુ મુક્ત કરવામાં આવશે.
પશુ પાલકો માટે પણ નિયમો મજબુત કરવામાં આવશે. પહેલાં એમ બનતું કે પશુપાલક 1 ઢોરની પરમિટ લઈને પોતાના અન્ય ઢોરને રખડતા મુકી દે છે. હવે તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. દરેક ઢોરની ડિટેઈલ્સ રાખવામાં આવશે અને અલગથી પરમિટ લેવી પડશે. આ ઉપરાંત દંડની જોગવાઈમાં પણ વધારો કરવામાં આવશે. પકડાયેલા ઢોરને છોડવા માટે પ્રથમવાર 1000 રૂપિયા લેવામાં આવશે. પરંતુ બીજીવાર પકડાશે તો વધુ દંડ વસુલવામાં આવશે. ઢોર પકડતી પાર્ટીને પણ સ્વતંત્રતા આપવામાં આવશે. કોઈપણ અધિકારી-કર્મચારીની લાગવગ ચલાવી લેવામાં આવશે નહીં તેમ મેયર પ્રદિપ ડવે કહ્યું હતું.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, હાલ 35 થી 40 જેટલા લોકો ઢોર પકડવાની કામગીરીમાં જોડાયેલા છે. ત્યારે પકડવાના સાધન, ડીઝલ ખર્ચ, પશુઓના નિભાવ ખર્ચ સહિત ઢોર પકડવાની કામગીરીમાં મહિનાનો 15 લાખનો ખર્ચ થાય છે.
મૃતદેહ નિકાલની વ્યવસ્થા
બિલમાં ઢોરના મૃતદેહના નિકાલ માટેની વ્યવસ્થા પણ સૂચિત કરાઇ છે. મહાપાલિકા દ્વારા ઢોરના મૃતદેહને બાળવા કે દફનાવવા માટેની જગ્યા નિયત કરવાની રહેશે. મૃતદેહને બાળવા માટે સ્મશાનગૃહ (ઇન્સીનરેટર) નક્કી કરાશે. ઢોરના મૃતદેહના ઉપયોગ માટેનો પ્લાન્ટ ઉભો કરવા વિસ્તારો નિયત કરાશે.
1 વર્ષ કેદ, 1 લાખ દંડ
ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હૂમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની સજાની જોગવાઇ કરાઇ છે. બીજીવખત આવા ગુનામાં પકડાનારને બે વર્ષ સુધીની કેદ અથવા 1થી 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
ફોજદારી થશે
શહેરી વિસ્તારોમાં ઢોર રાખવાના લાઈસન્સ આપ્યા બાદ તે ઢોરને ટેગ લગાવવી પડશે. આવી ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજીવખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ લેવાની સાથે માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલીને ઢોર માલિકને પરત અપાશે.