પ્રધાનમંત્રીના જન્મદિને પડધરીમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના- ૨.૦ સહિતના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું
પડધરીમાં “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો
રાજકોટ – રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિને “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે રાજકોટ જિલ્લાના પડધરીમાં પણ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦ સહિતના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે ગરીબો અને વંચિતોને ગેસ, આવાસ, પાણી, વીજળી, રસ્તા સહિતના વિવિધ લાભો મળે તે માટે સરકાર સતત કામ કરી રહી છે. અગ્રણી ભગીરથસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.
- Advertisement -
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ કરાયું હતું. સ્વાગત પ્રવચન મામલતદાર બી. એન. વીરોજાએ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘‘સ્વચ્છ ભારત મિશન યોજના’’ના કામોને મંજુરી અપાઈ હતી. ‘‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’’ના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. ૧૦૦ ટકા રસીકરણ થયેલ ગામોના સરપંચોનું સન્માન કરાયું હતું.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચૌહાણ, સરપંચ ડો. વિજય પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય ગિરિરાજસિંહ જાડેજા અને સુમાબેન લુણાગરિયા, અગ્રણી માનસીબેન ઉપાધ્યાય, આંગણવાડીની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.