વડાપ્રધાનનો મિની રોડ શૉ!
એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના 8 કિમીના રોડને દુલ્હનની જેમ શણગારાયો, 10 જગ્યાએ સ્વાગત પોઇન્ટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઙખ નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્ર્વના સૌથી મોટા હીરાના ટ્રેડિગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી રહ્યા છે. ત્યારે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના 8 કિલોમીટરના રૂટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મીની રોડ શો થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રીના ચાહકો અને હિતેચ્છુકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા રસ્તા પર આવી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે. 8 કિલોમીટરના રૂટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રૂટના બંને તરફ બામ્બુથી બેરીકેટ કરી દેવામાં આવ્યા છે. અને રોડ પર 10થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવવાની પણ તૈયારી થઇ રહી છે. તંત્રની તૈયારીઓને જોતા એવું લાગી રહ્યું છે કે ઙખ રસ્તા પર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બુર્સ સુધી પહોંચશે.
સુરત એરપોર્ટને ‘ઇન્ટરનેશનલ એરપોર્ટ’નો દરજ્જો અપાયો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં શુક્રવારે (15 ડિસેમ્બર, 2023) કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું કે, આ એરપોર્ટ ન માત્ર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગેટ વે જ નહીં બને પરંતુ ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની સવલતો પણ પૂરી પાડશે. આગળ કહેવામાં આવ્યું કે, આ નિર્ણયથી સુરતના આર્થિક વિકાસમાં પણ વેગ આવશે અને વિસ્તારમાં સમૃદ્ધિનો એક નવો યુગ શરૂ થશે, જેનાથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે. કેન્દ્ર સરકારની અખબારી યાદી જણાવે છે કે, સુરત ભારતમાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં અભૂતપૂર્વ ઔદ્યોગિક વિકાસ થયો છે. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળવાથી આર્થિક વિકાસ વધશે, વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળશે અને રાજદ્વારી સંબંધો પણ મજબૂત થશે. પેસેન્જર અને કાર્ગો ઓપરેશનોમાં વધારો થવાથી આ ઇન્ટરનેશનલ સ્ટેટ્સ વિસ્તારના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે તેમ પણ ઉમેરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (17 ડિસેમ્બર) સુરત આવી રહ્યા છે. તેઓ સુરત ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ સુરત એરપોર્ટના નવા બનેલા ટર્મિનલનું પણ ઉદઘાટન કરશે અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અંગે પણ આધિકારિક ઘોષણા કરીને તેને શરૂ કરાવશે. સુરતથી હવે દુબઈ અને હોંગકોંગની ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે આ માહિતી આપી હતી. તેમણે જાણકારી આપતાં કહ્યું હતું કે, સુરત એરપોર્ટથી 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવા જઈ રહી છે અને જેના કારણે સુરતની આંતરરાષ્ટ્રિય એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
- Advertisement -