ફિલ્મસર્જકો વિશે ભરત યાજ્ઞિકે લખેલા પાંચ પુસ્તકોનું 14 ઓગસ્ટે થશે લોકાર્પણ
ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર, ફિલ્મવિદ્ ભરત યાજ્ઞિકના પાંચ પુસ્તકોનું વિમોચન તા. 14મી ઓગસ્ટે રાજકોટમાં થશે. છેલ્લા સાડા છ દાયકાથી રંગભૂમિ ક્ષેત્રે કલાનિકેતન સંસ્થાના માધ્યમથી વિશિષ્ટ યોગદાન આપનાર ભરતભાઈએ આકાશવાણીની પોતાની કારકિર્દી દરમિયાન અને તે પછી ભારતીય સિનેમાના વિવિધ આયામો વિશે સંશોધનાત્મક, માહિતીપ્રદ લેખો લખ્યા હતા. તે લેખોના સંચયનો પાંચ પુસ્તકોનો સંપૂટ 14મી ઓગસ્ટે રાત્રે 9.30 કલાકે હેમુ ગઢવી હોલ-મુખ્ય ખાતે યોજાનારા કાર્યક્રમ બાદ ફિલ્મરસિકો-વાચકો માટે ઉપલબ્ધ બનશે. 7મી જુલાઈ 1977થી આકાશવાણી પર ‘કભી કભી’ નામની એક શ્રેણી શરુ થઈ હતી જે 2003 સુધી દર રવિવારે અવિરત ચાલી તેમાં પણ ભારતીય ફિલ્મ સંગીત, રાગ આધારિત ગીતો, ગીતકારો, સંગીતકારો, ગાયકો અને ફિલ્મસર્જકોના જીવન અને કાર્યવિશેની રસપ્રદ વાતો સહિતના વિષયો લઈને ભરત યાજ્ઞિક રજૂઆત કરતા. ફિલ્મ સર્જકો-ગીતકારો, સંગીતકારો વિશેનું તેમનું એક પુસ્તક ‘મધુર સંગીતના સર્જકો’ 1993માં પ્રકાશિત પણ થયું હતું. ફૂલછાબ દૈનિકની પૂર્તિમાં તેમણે આ વિષય પર કટાર પણ લખી હતી. આ વર્ષોની શબ્દસાધનાના નિચોડ રુપે એકઠા થયેલા લેખો હવે પાંચ પુસ્તક સ્વરુપે એક સાથે પ્રાપ્ત થઈ રહ્યા છે. 81 વર્ષની વયે પણ ભરતભાઈ ફિલ્મ-ટેલિવિઝનના વર્તમાન પ્રવાહો, વેબસિરિઝથી સુપેરે વાકેફ છે, એટલે આ પુસ્તકોમાં ફક્ત જૂની ફિલ્મો વિશે જ વાત હોય તેવું નથી. તેમાં કે.એલ. સાયગલ છે તો એ.આર. રહેમાન અને વિશાલ ભારદ્વાજ પણ છે. 1913થી શરુ થયેલા ભારતીય ફિલ્મ ક્ષેત્રના મહાન કલાકારોના જીવનની અજાણી, ઓછી જાણીતી ઘટનાઓ આ પુસ્તકોમાં છે. તો ચાર્લી ચેપ્લિન વિશે પણ વાતો છે. પુસ્તકોનું પ્રકાશન પ્રવીણ પુસ્તક ભંડારે કર્યું છે. 14 ઓગસ્ટે રાત્રે બોલીવુડના જૂના કલાકારો સાથે ઘરોબો ધરાવતા ફિલ્મપ્રેમી ચંદુભાઈ બારદાનવાલા,પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઈ માકડિયા, કચ્છમિત્ર દૈનિકના તંત્રી દીપક માંકડ, ફૂલછાબના તંત્રી જ્વલંત છાયાની ઉપસ્થિતિમાં યોજાનાર વિમોચન સંમારોહની સાથે ફિલ્મસંગીતનો પણ ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાવાનો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરદા યાજ્ઞિક અને રાજુ યાજ્ઞિક કરશે. સંગીત સંચાલન રાજુ ત્રિવેદીનું રહેશે.
- Advertisement -
અનુપા વોરા, ગાર્ગી વોરા, વિશ્રાંતિ જોશી, શ્રીકાંત નાયર, બિમલ શાહ, જલ્પેશ માંકડ, રફિક ઝારિયા, દર્શિત કાનાબાર અને સાથીઓ વિવિધ ગીતો રજૂ કરશે તેમને વાદ્યો પર જિમ્મી વ્યાસ, હિતેશ ઢાકેશા, પારસ વાઘેલા, ભાર્ગવ જાની, મહેષ ઢાકેશા, ભાર્ગવ ઉમરાણિયા, પ્રકાશ વાગડિયા, હાર્વિન પોપટ સાથ આપશે. આ પુસ્તક સંપુટ ભારતીય સિનેમાના 110 વર્ષના દિગ્દર્શકો, નાયક-નાયિકાઓ, ગીતકારો-સંગીતકારોની દુર્લભ વિગતો અને વિશ્વ સિનેમાના કલાકારો વિશે પણ માહિતી વાળી લેખશ્રેણીનો સંચય છે જે ગુગલ કે અન્ય સ્રોતો પર નથી તેવી માહિતીનો ભંડાર છે. ભરત યાજ્ઞિક ના અગાઉ 15 પુસ્તકો પ્રકાશિત થયા છે, આ સંપુટ સહિત તેમના 20 પુસ્તકો થશે. જેમાના 5 પુસ્તકોને સાહિત્ય અકાદમીના પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તા.14 ઓગસ્ટ 2024, બુધવારે રાજકોટ ખાતે યોજાનાર આ ની:શુલ્ક લોકાર્પણ પર્વ અને સંગીત સંધ્યાના નિમંત્રણ કાર્ડ ઉપલબ્ધ હશે ત્યાં સુધી બુધવારે સાંજે 6.00 પછી હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે થી મળી શકશે.