પોષ સુદ પુનમથી માંડીને મહા સુદ પૂનમ સુધીનો સમય માઘ સ્નાનનો મહિનો
શાસ્ત્રોએ તેમજ ભગવાન સ્વામિનારાયણે માઘસ્નાનનો અનેરો મહિમા કહ્યો છે. માઘસ્નાનમાં માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરી ખુલ્લા આકાશ નીચે રાખીને સવારે આકાશમાં તારા દેખાતા હોય તેવા બ્રહ્મમુહૂર્તમાં ઠંડા જળમાં સ્નાન કરવામાં આવે છે. વ્યાસ ભગવાને પુરાણમાં કહ્યું છે કે કોઈ એવું પાપ નથી જે માઘસ્નાનથી નાશ ન પામે. જે નદી સમુદ્રને ન મળતી હોય તે નદીમાં સ્નાન કરવાથી 3 દિવસનું ફળ મળે છે. જે નદી સમુદ્રને મળતી હોય તેમાં એક દિવસ સ્નાન કરવાથી 15 દિવસનું ફળ મળે છે તથા સમુદ્રમાં એક દિવસના સ્નાનથી આખા મહિનાનું ફળ મળે છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની બધી શાખાઓમાંથી 151 સંતોએ અને 6725 વિદ્યાર્થીઓએ માઘસ્નાનનો લાભ લીધો.રાજકોટ ગુરુકુલમાં 21 સંતો અને 504 વિદ્યાર્થી તેમજ 40 હરિભક્તોએ વહેલી સવારે માટલામાંથી સ્નાન કરી ભીના કપડે ભગવાનને દંડવત અને પ્રદક્ષિણા કરી પુણ્યનું ભાથું બાંધીયું. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંતોએ વિવિધ ચાંદ્રાયણ વગેરે વ્રત કરીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કર્યો. દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીને રાજી કરવા માટે સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ આવા કઠણ વ્રતને હોંશે હોંશે કરતાં હોય છે.