જૂનાગઢમાં ગુજરાતની સૌથી વિશાળ શોભાયાત્રા યોજવાનું આયોજન
આજે સાંજે બાઇક રેલી : જૂનાગઢમાં ભુદેવોમાં અનેરો ઉત્સાહ : શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ લગાવ્યાં: બહાઉદીન કોલેજનાં મેદાનમાં મહાપ્રસાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આવતીકાલે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ નિમીતે ભવ્ય શોભાયાત્રા નિકળશે.શોભાયાત્રાને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શોભાયાત્રા પૂર્વે આજે સાંજનાં શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાને લઇ ભુદેવોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર હોર્ડીગ્સ લગાવવામાં આવ્યાં છે. જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પરશુરામ જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવા માટે છેલ્લા બે માસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શોભાયાત્રાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે શહેરનાં તમામ વોર્ડમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવતીકાલે નિકળનાર શોભાયાત્રાને લઇ આજે સાંજે 4 વાગ્યે મધુરમ સોસાયટી વિસ્તારમાં આવેલા સાંઇનાથ મંદિરેથી વિશાળ બાઇક રેલી નિકળશે.આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. બાઇક રેલી દિપાંજલી, રાધાકૃષ્ણ નગર,રાયજીબાગ,મોતીબાગ, સરદાર ચોક, કાળવા ચોક,ઝાંઝરડા રોડ, જોષીપરા, આંબાવાડી, મજેવડી દરવાજા થઇ ભવનાથમાં પરશુરામ ચોકમાં મહાઆરતી સાથે બાઇક રેલી સંપન્ન થશે.બાદ આવતીકાલે પરશુરામ જન્મોત્સવ નિમીતે સાંજનાં 4 વાગ્યે તળાવ દરવાજા સ્થિતી જાગનાથ મહાદેવ મંદિરેથી અખિલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ મુકતાનંદબાપુ અને બ્રહ્મ સમાજનાં આગેવાનોની ઉપસ્થિતીમાં વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે.
- Advertisement -
શોભાયાત્રામાં ભગવાન પરશુરામની ઝાંખી કરાવતા આકર્ષક ફ્લોટસ રહેશે.આ શોભાયાત્રા આઝાદ ચોક,કાળવા ચોક, ભુતનાથ રોડ પરથી પસાર થશે.શહેરનાં માર્ગો પર શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રા બહાઉદીન કોલેજ ખાતે સંપન્ન થશે.અહીં ભુદેવ પરિવાર સમુહ પ્રસાદ લશે.ગુજરાતમાં સૌથી મોટી શોભાયાત્રા જૂનાગઢમાં યોજાઇ તેવું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનું લાઇવ પ્રસાર પણ કરવામાં આવશે. શોભાયાત્રાને સફળ બનાવવા જયદેવભાઇ જોષી, કાર્તિકભાઇ ઠાકર,વિશાલભાઇ જોષી, પી.સી.ભટ્ટ સહિતનાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.
કાલે નીકળનાર શોભાયાત્રાને લઇ ભુદેવ આગેવાનોએ શું કહ્યું ?
1. ધારાસભ્ય ભીખાભાઇ જોષી: 3 મેના પરશુરામ દાદાનો જન્મ મહોત્સવ છે જેની શોભાયાત્રા નિકળવાની છે. ત્યારે 3 મેએ એક પણ ભૂદેવ ઘરે ન રહે અને શોભાયાત્રામાં જોડાઇ તેવી અપીલ છે.
2. શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા: એક દિવસ દાદા માટે ફાળવજો અને તેના આશિર્વાદ મેળવજો પછી આખું વર્ષ દાદા તમારા પરિવાર માટે ફાળવશે.
3. જયદેવભાઇ જોષી: તમામ પેટા જ્ઞાતિના વાડા ભૂલી ભૂદેવોની 84 જ્ઞાતિના એકસાથે દર્શન થવા જોઇએ. શોભાયાત્રામાં આવનારની હાજરી અને નહી આવનારની ગેરહાજરી પરશુરામ દાદા પૂરશે.
4. કાર્તિક ઠાકર: બ્રહ્મ સમાજની એકતા દર્શાવવા માટે તમામ ભૂદેવો જોડાય જાય.
5. ભાજપ મહામંત્રી શૈલેષભાઇ દવે: આપણી શોભાયાત્રાનું લાઇવ થશે જે વિશ્ર્વમાં દેખાશે ત્યારે એક એક ભૂદેવ તેમાં જોડાય જજો.