માનવતાને શર્મસાર કરતો કિસ્સો
CCTVના આધારે પતિએ જ નોંધાવી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં માનવતાને શર્મશાર કરે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, શહેરમાં સગી માતાએ બે માસની નવજાત બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના બની છે. જન્મ બાદથી સતત બીમાર બાળકીથી કંટાળીને માતાએ સિવિલના ત્રીજા માળેથી માસૂમને ફેંકી દીધી હોવાના સમાચાર છે અને આ સમગ્ર મામલે મહિલાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગતો મુજબ, આણંદના પેટલાદના રાવલી ગામમાં રહેતા આસિફમિયા મલેક તેની પત્ની ફરજાનાબાનું સામે હત્યાની ફરિયાદ નોધાવી છે. બે મહિના પહેલા ફરજાનાબાનુંએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મથી જ દીકરી બીમાર રહેતા તેને વડોદારની સયાજી હોસ્પિટલમાં 24 દિવસ રાખવામાં આવી હતી. આ દરમિયાન તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેનો આંતરડાનો ભાગ બહાર આવી જતા નડીયાદની હોસ્પિટલમાં ફરી તેને દાખલ કરાઈ હતી. અને તે બાદ બાળકીને અમદાવાદ સિવિલમાં લઈ જવાઈ હતી.
બનાવના દિવસે આસિફમિયાએ ઉઠીને જોયું તો તેની દીકરી પારણાં માંથી ગાયબ હતી. સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું કે પત્ની જ બાળકીને ત્યાંથી લઈ ગઈ હતી, પત્નીની પૂછપરછ કરતા દીકરી જન્મ બાદથી જ સતત બીમાર રહેતી હોવાના કારણે તેણીએ કંટાળી બાળકીને ત્રીજા માળેથી તેને ફેંકી દીધી હોવાનું કબૂલ્યું હતું. સમગ્ર ઘટના મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.