શીલાલેખ, સ્તંભ જર્જરિત, સ્તંભ આસપાસ બાવળોના ઝૂંડ અને ગંદકી જોવા મળે છે, યોગ્ય જાળવણી કરવા માગ ઊઠી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
વઢવાણ શહેરનો અનોખો ઇતિહાસ છે. જે પ્રજા જાણી શકે તે માટે સ્તંભ અને શિલાલેખ બનાવાયા છે. પરંતુ સુરેન્દ્રનગર મહાપાલિકા સંસ્કૃતિ અને વારસાની જાળવણીમાં કુંભકર્ણ નિંદ્રામાં છે. ત્યારે વઢવાણ શહેરનો શિલાલેખ અને સ્તંભની દુર્દશા થતા યોગ્ય જાળવણીની માગ ઊઠી છે. ભોગાવા નદીના કાંઠે આવેલ વર્ધમાનપુરીનું અપભ્રંશ થઇને વઢવાણનું નામ બન્યું છે.
સૌરાષ્ટ્રના સૌથી જૂના ભૂભાગ તરીકે વઢવાણ અનોખો ઇતિહાસ ધરાવે છે. આજે પણ વઢવાણ નગરને ફરતે દરવાજા અને કિલ્લો અડીખમ છે. ત્યારે વઢવાણ શહેરના ઇતિહાસની જાળવણી માટે બનાવાયેલા શિલાલેખ અને સ્તંભ જાળવણી માગે છે. વઢવાણના મોક્ષધામમાં શિલાલેખ અને લાખુપોળ પાસે સ્તંભ બનાવાયા હતા. પરંતુ વઢવાણનો સમાવેશ સુરેન્દ્રનગરમહા પાલિકામાં થતા વારસો વિસરાયો છે.
આ અંગે વઢવાણ અસ્મિતા મંચના કાર્યકરોએ જણાવ્યું કે વઢવાણ મોક્ષધામમાં શિલાલેખ વાંચી શકાતો નથી. લાખુપોળ દરવાજા પાસે સ્તંભની દુર્દશા થઇ છે. હાલ સ્તંભ આસપાસ બાવળોના ઝૂંડ અને ગંદકી જોવા મળે છે. આથી શિલાલેખ વાંચી શકાય તેવો કરાવી અને સ્તંભ આસપાસ જાળવણી કરાવવા માગ ઊઠી છે.