ફાયર વિભાગની ઈમારતમાં ઠેર ઠેર તિરાડો પડી, ભેજ લાગ્યો અને પોપડા ખરવા લાગ્યા
સલામત સ્થળે ખસેડતું ફાયર વિભાગ જ ખુદ જોખમ તળે
- Advertisement -
છતમાંથી પણ ગમે ત્યારે પોપડા પડવાની ઘટના રોજિંદી બની
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ દિવાતળે અંધારું હોય તેમ મનપાનાં ફાયર વિભાગની મુખ્ય કચેરી જ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. આ બિલ્ડિંગમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે. ગેલેરીમાંથી પોપડા પડતા જવાનોના જીવ જોખમમાં મૂકાયા છે તેમજ રૂમોમાં ભેજ લાગતા બાંધકામ નબળું પડ્યું છે. આ કચેરીમાં ફાયર વિભાગના 100 જવાન કામ કરી રહ્યા છે જે ખખડધજ બિલ્ડિંગને કારણે ભયના ઓથાર હેઠળ મૂકાયા છે.
ફાયર વિભાગની આ મુખ્ય કચેરીનું નવીનીકરણ કરવા અનેક વખત ચર્ચાઓ થઈ છે. પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ફાયર વિભાગનો જ સ્ટાફ શહેરભરમાં જર્જરિત આવાસમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ કરે છે. છતાં ફાયર વિભાગની જ મુખ્ય કચેરી જર્જરિત હાલતમાં હોવાથી લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
- Advertisement -
મનપાની આ કચેરીમાં પહેલા માળે ગેલેરી જર્જરિત થઈ છે અને તેમાંથી પોપડા ખરે છે. પ્લાસ્ટરના સળિયા દેખાઈ રહ્યા છે. છતમાંથી પણ ગમે ત્યારે પોપડા પડવાની ઘટનાઓ રોજિંદી બની છે. આ કચેરીમાં બે વિંગ છે અને બંનેની હાલત નબળી હોય અહીં કામ કરનારો સ્ટાફ જોખમ વચ્ચે કામ કરી રહ્યો છે. માત્ર ગેલેરી જ નહીં અંદરના રૂમમાં પણ ભેજ ઉતરતા બાંધકામ નબળું થઈ ગયાનું સાબિત થાય છે. વરસાદ, વાવાઝોડા, આગ કે કુદરતી આફત સમયે 24 કલાક ધમધમતી રહેતી ફાયર શાખામાં નબળી ઈમારત હોવાથી સ્ટાફ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યો છે.
આ અંગે ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનું મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ પર આવેલું છે. જે જર્જરિત હાલતમાં હોવાથી તેના રિનોવેશન અંગે આ બજેટમાં દરખાસ્ત મૂકી હતી. જેની મંજૂરી પણ મળી છે અને ટૂંક સમયમાં આ કચેરીનું નવીનીકરણ શરૂ થશે. આ ફાયર સ્ટેશન ઉપર 100 જેટલા જવાનો કાર્યરત છે. નવું બિલ્ડિંગ બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમજ હાલ બિલ્ડિંગ જર્જરિત છે જે ભાગ જર્જરિત છે ત્યાનાં સ્ટાફને સલામત સ્થળે ખસેડવા ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થશે. મનપાના સિટી ઇજનેર વિભાગ દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.