રવિવારે આણુ દર્શન અને દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશ-વિદેશમાં જાણીતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા દ્વારા શહેરના જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઈ અને માધવીબેન ધમસાણીયા પરિવારના મુખ્ય યજમાનપદે આગામી તા. 29 ડીસેમ્બરના રવિવારના રોજ રાજકોટના આંગણે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી 23 દીકરીઓના ભવ્ય-દિવ્ય અલૌકિક લગ્નોત્સવ વ્હાલુડીના વિવાહ-7 યોજાનાર છે જે અંગેની તડામાર તૈયારીઓ છેલ્લા 2 માસથી સંસ્થા દ્વારા ચાલી રહી છે. વ્હાલુડીના વિવાહ નજીક આવ્યા છે ત્યારે પ્રસંગોનો પ્રારંભ થઈ રહ્યો છે જે અંતર્ગત તા. 15-12 રવિવારના રોજ સાંજના 6થી રાત્રિના 10 વાગ્યા સુધી શહેરના સમાજજીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનો, લોકપ્રતિનિધિઓ, દાતાઓ, શુભેચ્છકો પ્રભુતામાં પગલાં પાડનાર 23 દીકરીઓના પરિવારજનો તેમજ સંસ્થાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આણુદર્શન અને ડાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે.
તમામ દીકરીઓને આણામાં વોશીંગ મશીન, ફ્રીઝ, એરકુલર, સીલાઈ મશીન, ઈમિટેશનની આઈટમ સહિત 225 જેટલી વસ્તુઓ સુખી અને માનવતાપ્રેમી દાતાઓના સહયોગથી આપવામાં આવશે. આ ઉપરાંત તમામ દીકરીઓને એકાવન હજારની ફિક્સ ડીપોઝીટ તેમજ દીકરીઓને 6 મહિના સુધી ચાલે તે પ્રકારની પાંચ મણ ઘઉં, 2 ડબા તેલ, 20 કીલો ચોખા, 50 કિલો ખાંડ, 10 કીલો દાળ, 2 કીલો ચા સહિતની વસ્તુઓની કીટ પણ આપવામાં આવશે.
આણુદર્શન કાર્યક્રમ સાથે તમામ દીકરીઓ, આમંત્રિતો, પરિવારજનો તેમજ દાતાઓના સંગાથે મન મોર બની થનગાટ કરે, અમે ગોંડલ ગામના ગોરી, સનેડો સહિતના મનગમતાં ગીતોની સંગાથે મનભરીને ડાંડીયા રાસની રમઝટ માણે તે માટે ડાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનની સફળતા માટે આયોજન સમિતિના મુકેશભાઈ દોશી, અનુપમભાઈ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ આદ્રોજા, હસુભાઈ રાચ્છ તેમજ મહિલા કમિટીના ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, વર્ષાબેન આસોદરીયા, કાશ્મીરાબેન દોશી, ગીતાબેન પટેલ, કલ્પનાબેન દોશી, વર્ષાબેન આદ્રોજા, પ્રિતીબેન વોરા, પ્રિતીબેન તન્ના, કિરણબેન વડગામા, નિશાબેન મારૂ સહિતની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.