10 સભ્યની કમિટિએ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રખડતા ઢોરોએ રસ્તા પર ચાલતા રાહદારીઓને હડફેટે લેવાની ઘટનાઓ રોજરોજ બની રહી છે. રખડતા ઢોરોના વધતા જતા હુમલાઓન લઇને ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. એટલું જ નહીં, રાજ્ય સરકારને ફટકાર આપી છે. આ કારણોસર હવે સરકારે રખડતા ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે કોમન માર્ગદર્શિકા ઘડી રહી છે.
- Advertisement -
સરકારે નિમેલી કમિટીએ માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ સુધ્ધા તૈયાર કરી દીધો છે. રાજ્યની તમામ મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં આમાર્ગદર્શિકાનો અમલ કરાશે. રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. આ ઢોરો નિર્દોષ રાહદારીઓને હડફેટે લે છે જેથી ઘણાંના મૃત્યુ ય થયા છે જયારે ઘણાંને ગંભીર ઇજાઓ પહોંચી છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરોના હુમલામાં 30 વધુ લોકોના મોત નિપજ્યા છે જયારે પાંચેક હજાર લોકોને ઇજા પહોંચી છે. હવે જયારે આ આખોય પ્રશ્ન એટલી હદે વકર્યો છેકે, વાત હાઇકોર્ટ સુધી પહોંચી છે.
ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર આપી છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તો અલાયદી માર્ગદર્શિકા સુધ્ધાં ઘડી કાઢી છે. જોકે, રાજ્ય સરકારે માત્ર અમદાવાદમાં જ નહીં, આખાય રાજ્યમાં અમલી બનાવવા કોમનમાર્ગદર્શિકા ઘડવા તૈયારીઓ કરી છે. સૂત્રોના મતે, રાજ્ય સરકારે રખડતા ઢોરોના નિયંત્રણને લઇને કોમન માર્ગદર્શિકા ઘડવા માટે દસ સભ્યોની – કમિટી બનાવી છે. ગાંધીનગરમાં રખડતા નિયંત્રણ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.આ બેઠકમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને રખડતા ઢોરોના નિયંત્રણ માટેની માર્ગદર્શિકાના ડ્રાફ્ટને આખરી ઓપ અપાયો છે. હવે આ ડ્રાફ્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાશે ત્યાર બાદ તેને આખાય ગુજરાતમાં અમલી બનાવવામાં આવનાર છે.
હાઇકોર્ટની ફટકાર રાજ્યમાં અમદાવાદ સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓમાં માર્ગદર્શિકાનો કડકપણે અમલ કરવા સરકાર એક્શન મોડમાં આવી છે.