હરિયાણા અને પંજાબ સહિત 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ સફળ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને આ મહિનાથી એટલે કે માર્ચ 2025થી 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ માટે ગઇંઅઈં નોડલ એજન્સી તરીકે કામ કરશે.
- Advertisement -
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગઇંઅઈં)ના અધિકારીના જણાવ્યા અનુસાર, આ યોજના માટે મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 162માં પહેલાથી જ સુધારો કરવામાં આવ્યો છે. આ યોજનાને સંપૂર્ણપણે લાગુ કરતા પહેલા, છેલ્લા 5 મહિનામાં પુડુચેરી, આસામ, હરિયાણા અને પંજાબ સહિત છ રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો.
ગઇંઅઈં અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ કે કોઈપણ સામાન્ય નાગરિક કે સંસ્થા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જાય કે તરત જ તેમની સારવાર શરૂ થઈ જશે. આ માટે કોઈ ફી જમા કરાવવાની રહેશે નહીં. ઘાયલોની સંભાળ હોસ્પિટલ લેશે, પછી ભલે તેમના પરિવારના કોઈ સભ્યો તેમની સાથે હોય કે ન હોય. ખાનગી અને સરકારી બંને હોસ્પિટલોએ કેશલેસ સારવાર આપવી પડશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 14 માર્ચ, 2024ના રોજ માર્ગ અકસ્માત પીડિતોને રોકડ રહિત સારવાર પૂરી પાડવા માટે પાયલોટ પ્રોજેક્ટ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ શરૂ કરી હતી. આ પછી, 7 જાન્યુઆરી, 2025ના રોજ, ગડકરીએ દેશભરમાં આ યોજનાની સત્તાવાર શરૂઆતની જાહેરાત કરી. આ યોજના હેઠળ, દેશમાં ગમે ત્યાં કોઈ પણ માર્ગ અકસ્માત થાય તો, ઘાયલ વ્યક્તિને ભારત સરકાર દ્વારા સારવાર માટે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેના કારણે તે 7 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે.
જો હોસ્પિટલે પ્રાથમિક સારવાર પછી દર્દીને મોટી હોસ્પિટલમાં રેફર કરવો પડે, તો તે હોસ્પિટલે ખાતરી કરવી પડશે કે દર્દીને જ્યાં રેફર કરવામાં આવી રહ્યો છે ત્યાં જ દાખલ કરાય. 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર પછી, ગઇંઅઈં તેની ચુકવણી માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે, એટલે કે સારવાર પછી, દર્દી કે તેના પરિવારને 1.5લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવાની રહેશે નહીં. જો સારવારનો ખર્ચ 1.5 લાખ રૂપિયાથી વધુ થાય છે, તો વધેલું બિલ દર્દી અથવા તેના પરિવારના સભ્યએ ચૂકવવું પડશે. સૂત્રો કહે છે કે 1.5 લાખ રૂપિયાની રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખરેખરમાં, અકસ્માત પછીના પહેલા કલાકને ’ગોલ્ડન અવર’ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન, સારવારના અભાવે ઘણા મૃત્યુ થાય છે. આને ઘટાડવા માટે, આ યોજના શરૂ કરવામાં આવી રહી છે.
- Advertisement -
સમયસર સારવાર ન મળવાના અભાવે મૃત્યુઆંક વધે છે
ભારતમાં, 2023માં માર્ગ અકસ્માતમાં લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 2024માં જાન્યુઆરી-ઓક્ટોબર વચ્ચે 1.2 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 30-40% લોકો સમયસર સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામે છે. તેમજ, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સારવારનો સરેરાશ ખર્ચ 50,000 થી 2 લાખ રૂપિયા છે. ગંભીર કિસ્સાઓમાં ખર્ચ 5-10 લાખ રૂપિયા સુધી પહોંચે છે. 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની યોજનાથી દર વર્ષે લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો બોજ પડવાનો અંદાજ છે.