ગમે ત્યારે અકસ્માતનો ખતરો લાગતા ચૂપચાપ ટ્રેકટરમાં પ્લાન્ટ ભરી લેતું તંત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટમાં એક તરફ ગ્રીન કવર ઓછું હોવાની સ્થિતિ છે અને આ વર્ષે ઉનાળાની ગરમીએ લોકોને ત્રાસ છોડાવી દીધો છે ત્યારે શહેરની ભાગોળે અને વનમાં ભલે ઘનિષ્ઠ વનીકરણ ચાલતું હોય, પરંતુ શહેરની મધ્યમાં અને રાજમાર્ગો પર સિમેન્ટના જંગલો વચ્ચે લોકો દાઝી જાય તે રીતનો તાપ વરસી રહ્યો છે. અર્ધો ડઝન બ્રીજવાળો 1પ0 ફુટ રીંગ રોડ તો હરિયાળી વગર ભઠ્ઠાની જેમ તપતો જ હોય છે ત્યારે રૈયા રોડને જોડતા આમ્રપાલી બ્રીજમાં વર્ટીકલ ગાર્ડનનો પ્લાન ફેઇલ થયા બાદ હવે બ્રીજની બંને તરફ મૂકવામાં આવેલા પ્લાન્ટના કુંડા પણ ઉખેડી લેવાની નોબત આવી છે.
- Advertisement -
બ્રીજની સાઇડની દિવાલ પર મૂકવામાં આવેલા કુંડા ડેકોરેશન અને હરિયાળી માટે નટબોલ્ટથી ફીટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ બોલ્ટ સડી ગયા છે અને ચોમાસામાં કોઇ વાહન ચાલક પર અકસ્માતનો ખતરો ન સર્જાય તે માટે ઉતારી લેવાયાનું જાણવા મળ્યું છે. આમ્રપાલી બ્રીજના નિર્માણ સાથે રાજકોટની ફાટકની સૌથી મોટી પૈકીની એક સમસ્યા હલ થઇ હતી. અહીં અંડરબ્રીજ બનવાથી ટ્રાફિકમાં રાહત થઇ છે. જોકે ટ્રાફિક મેનેજમેન્ટમાં ખામીના કારણે સાંજના સમયે અવારનવાર કિસાનપરા ચોકમાં બ્રીજ અંદરથી વાહનોની લાઇન લાગી જાય છે તે પણ હકીકત છે.