રાજ્ય સરકારના નિર્ણયથી માછીમારોમાં ખુશીનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાતમાં માછીમારી સીઝન શરૂ થવાના સમયગાળામાં ફેરફાર કરવાની સરકારની જાહેરાતથી સમગ્ર રાજ્યના માછીમારોમાં ખુશીનો માહોલ છે. સરકાર દ્વારા 15 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી સમસ્યાઓને ઉકેલવામાં આવી છે. પોરબંદર માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરીએ આ નિર્ણય માટે સરકારનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી 1 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ થવાને કારણે માછીમારોને દરિયામાં જવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી.
- Advertisement -
આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી માનવજીવન અને બોટોના સાધનસામગ્રીની સુરક્ષામાં પણ મોટું જોખમ હતું. મુકેશભાઇએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યના માછીમારોએ આ સમસ્યાને ઉકેલવા માટે રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી. તેમના પ્રયાસોથી, ગુજરાત સરકારએ બાન પીરિયડને લંબાવવાનો અને નવી માછીમારી સીઝન 15 ઓગસ્ટ પછી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રી રાધવજીભાઇ પટેલ, રાજયકક્ષાનાં મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમભાઈ સોલંકી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મન્સુખભાઈ માંડવીયા સહિતના અન્ય નેતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. માછીમારોને સરકારના આ નિર્ણયથી મોટી રાહત મળશે અને તેમના જીવનમાં સુધારો આવશે એવી આશા છે.