મોટા મગરમચ્છો પર કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આફતગ્રસ્તોનો આક્ષેપ
મોરબીવાસીઓનો એક જ સૂર: ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના જયસુખ પટેલ જ જવાબદાર
- Advertisement -
ખાસ-ખબર દ્વારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ હકીકતો મેળવવામાં અને વાસ્તવિકતા તપાસવામાં આવી હતી. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાના આજે પાંચ-પાંચ દિવસ પછી પણ આ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોના આસું સુકાયા નથી. મોરબી ઝૂલતા પુલ હોનારત બાદ મોરબીવાસીઓમાં પ્રશાસન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સરકાર કે તંત્ર દ્વારા જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવતા હવે હોનારતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ઓરેવા – જયસુખ પટેલ સામે કાયદાકીય લડાઈ લડવા મેદાનમાં પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલ જઘન્ય હત્યાકાંડના મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ પર હજુ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં નથી આવી. પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે જેમાં ઝૂલતા પુલની ટિકિટ આપનાર, સિક્યુરિટી ગાર્ડ અને મેનેજરની ધરપકડ કરી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવામાં આવ્યો છે.
સામાજીક કાર્યકર રાજુભાઈ દવેએ તંત્ર વિશે શું કહ્યું જોવા અહીં ક્લિક કરો…
- Advertisement -
સામાજીક કાર્યકર હસીનાબેન લંઘાનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…
સ્વજન ગુમાવનાર ઈબ્રાહીમ માંજોઠીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…
જેનાં પર ઘરનું ગુજરાન ચાલતું હતું તેવી દીકરી આ હોનારતમાં હોમાઈ ગઈ: પરિવાર પર વજ્રઘાત
ઓરેવા કંપનીની જ કર્મચારી હતી મનિષા
મનિષાનાં ઘરની પરિસ્થિતિ એટલી દયનીય છે કે ભલભલાના કાળજા કંપી ઉઠે
મનિષાનાં માતા સવિતાબેન અને તેમનાં ઘરનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…
નજરબાગ વિસ્તારમાં એક કાચા મકાનમાં રહેતા સવિતાબેન ચૌહાણ પર પુલ દુર્ઘટનાના લીધે આભ ફાટ્યું છે. તેમના ઘરનું આશાનું કિરણ અને જેના પર ઘરનું ગુજરાન ચાલતું હતું તેવી દીકરા સમાન 21 વર્ષીય દીકરી મનિષા ચૌહાણને કાળ ભરખી જતા સવિતાબેન પર કરમની કઠણાઈ બેઠી છે. સવિતાબેન અવાચક બની ગયા છે ભગવાન જાણે સવિતાબેનની પરીક્ષા લઈ રહ્યા હોય તેમ જેના પૈસાથી જ ઘર ચાલતુ હતું તેને જ પોતાની પાસે લઈ લેતા સવિતાબેનના આસું સુકાતા નથી. દિવસેને દિવસે શોક ઘેરો બનતો જાય છે. પરિવારમાં બે નાનાભાઈ અને એક નાની બહેનને ભણાવવાનો ખર્ચ પર દીકરી ઉપાડતી હતી જે હવે નોંધારા બની ગયા છે. માતા સવિતાબેને જણાવ્યું હતું કે, દીકરી મનિષા ઓરેવા કંપનીમાં નોકરી કરતી હતી જેના જવાથી હવે પરિવારમાં કમાવનાર કોઈ રહ્યું નથી. બે ભાઈ અને એક બહેનની જવાબદારી કોણ ઉપાડશે? સતત નજર સમક્ષ મનીષા જ દેખાઈ રહી છે વિશ્વાસ જ નથી આવતો કે, મનીષા હવે નથી રહી. ખાસ ખબરના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગમાં માલૂમ પડ્યું કે, સવિતાબેન કાચા મકાનમાં રહે છે. ઘરની પરિસ્થિતી જોઈએ તો ફક્ત એક માટલું, થોડા વાસણ અને એક લાઈટ છે માટીના મકાનમાં કુલ પાંચ સભ્યો રહેતા હતા. જેમાંથી હવે ફક્ત ચાર જ રહ્યા. સવિતાબેનને હાલ વિધ્વા સહાયના ફક્ત 1200 રૂપિયા જ આવે છે.
ઝૂલતા પુલ દુર્ઘટના બાદની ચોંકવનારી વિગતો
ત્યારે મોરબીવાસીઓનો એક જ સૂર છે કે, ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના જયસુખ પટેલ જ જવાબદાર છે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ પરંતુ સમગ્ર મામલે નાની માછલીઓની ધરપકડ થતા અને મોટા મગરમચ્છ બચી જતા મોરબીના સ્થાનિકોથી લઈ સામાજિક કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. ખાસ-ખબરને મોરબી ઝૂલતા પુલ હોનારતમાં એક જ પરિવારના આઠ વ્યક્તિના મૃત્યુ પામતા તેમના આઠ પરિવારજનએ જયસુખ પટેલ વિરુદ્ધ એફઆઈઆર કરશે એવું જણાવ્યું હતું. મોરબીના કાંતીનગરમાં રહેતા એક પરિવારના જ 8 લોકોના મૃત્યુ થયા છે. ઝૂમાભાઈના પત્ની તેના દીકરી અને અન્ય સગા આ તમામ ઝૂલતો પુલ જોવા ગયા હતા. જ્યારે બીજા દિવસે દીકરીની સગાઈ હતી અને તેનું મૃત્યું થયું. ઝૂમાભાઈના ભાઈ ઈબ્રાહીમ માજોઠીએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, અમને ન્યાય મળવો જ જોઈએ. અમે જયસુખ પટેલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવીશું અને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવાકીય કાર્યો કરતા હસીનાબેન લંઘાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 134 લોકોના મોત થયા છે તે આંકડો ખોટો છે અંદાજે 200 લોકોના મોત થયા છે. મને અહીં કોઈ પગાર નથી આપતું અને જ્યારે મીડિયા સમક્ષ સાચી વાત પ્રસ્તુત કરી ત્યારથી હોસ્પિટલ તંત્ર દ્વારા મને માનસિક રીતે ટોર્ચર પણ કરવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા ત્યારે હોસ્પિટલની કાયાપલટ થઈ ગઈ. બેડના ઓશીકા અને ઓછાડ બદલાવી નાખવામાં આવ્યા. જ્યારે રવિવારે આ દુર્ઘટના ઘટી ત્યારે અહીં એક બેડ પર ત્રણ ત્રણ બોડી રાખવામાં આવી હતી. તે દ્રશ્યો ભયાનક હતા. જેમણે સ્વજનો ગુમાવ્યા એ પરિવારોની વેદનાનું વર્ણન શક્ય નથી. તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું. હસતા, રમતા, આનંદ માણવા ગયા હતા એ સ્વજનો સદા માટે ચાલ્યા ગયા. જે પાછળ રહી ગયા તેમના જીવન સૂના બની ગયાં. પોલીસે નાની માછલીઓને પકડી છે જ્યારે મોટા મગરમચ્છ નગરપાલિકા અને ઓરેવા ગૃપના માલિક હજુ પકડથી દૂર છે. મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, મોટા મગરમચ્છ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે તેને પકડવા જોઈએ.