સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી: પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી વર્ષની રાષ્ટ્રીય એકતાના સંકલ્પ સાથે ઉજવણીના ભાગરૂપે, ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચ-એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ તા. 9 નવેમ્બર, 2025 ના રોજ જૂનાગઢથી થશે.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ યુનિટી માર્ચનો કાર્યક્રમ યોજાનાર છે. જૂનાગઢ માટે ગૌરવની વાત એ છે કે, આ જ દિવસ જૂનાગઢનો મુક્તિ દિન (આઝાદી દિવસ) પણ છે. તેથી, આ કાર્યક્રમ આરઝી હકુમતના સંસ્મરણો સાથે સર્વ સમાજની સહભાગીતાથી જૂનાગઢનું ગૌરવ બનશે. પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને આયોજન અને તૈયારી સંદર્ભે અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક મળી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ માહિતી આપી હતી કે, એકતા પદયાત્રા બહાઉદીન કોલેજથી શરૂ થઈને મોતીબાગ, સરદારબાગ સહિત વિવિધ માર્ગો પર થઈને અંદાજે 8 કિલોમીટરની રહેશે જેમાં માર્ગો પર સુશોભન, અભિવાદન માટે વિવિધ ગ્રુપના પ્લેટફોર્મ, પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસ, વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગરિમામય માહોલમાં આ કાર્યક્રમ યોજાશે તેમજ ઉપરકોટ, સરદાર ચોક, સ્વદેશી મેળો સ્થળ તેમજ સરદાર વન રૂપે વૃક્ષારોપણ સહિત વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેમજ તારીખ 8 નવેમ્બરની રાત્રે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
મંત્રીએ શહેરીજનો, સર્વ સમાજ, સંસ્થાઓ, આરઝી હકુમતના લડવૈયાઓના પરિવારજનો અને કલાકારોને પરંપરાગત વેશ પરિધાનમાં જોડાઈને આ રાષ્ટ્રીય એકતાના કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાવાના છે.



