૧૦ અને ૨૦ હજાર લીટર ઓક્સિજનની બે કાર્યરત ટેન્ક ઉપરાંત ૨૦ હજાર લીટરની વધુ એક ટેન્ક ઓક્સિજન સપ્લાય માટે તૈયાર
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. જેના ભાગરૂપે રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટર ક્ષમતાની વધુ એક ટેન્ક ઓક્સિજન સપ્લાય માટે તૈયાર કરવામાં આવી છે.
આ અંગેની વધુ વિગતો આપતાં ડો. જે.કે.નથવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં ૧૦ હજાર અને ૨૦ હજાર લીટર ક્ષમતાની બે ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. તદુપરાંત, કલેકટરરેમ્યા મોહનની સુચના મુજબ કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાના દૂરંદેશી આયોજનના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટર ક્ષમતાની વધુ એક ઓક્સિજન ટેન્કના ઇન્સ્ટોલેશનનું કામ પૂર્ણતાના આરે છે, જે સંભવતઃ આવતી કાલથી શરૂ થઇ જશે. આમ, કોરોનાના દર્દીઓને દૈનિક ૫૦ હજાર લીટર ઓક્સિજન પુરો પાડવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ તમામ રીતે સક્ષમ છે, તેમ ડો. નથવાણીએ ઉમેર્યું હતું.
- Advertisement -

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ઉપરાંત કોરોનાની સારવાર સંદર્ભની અન્ય વ્યવસ્થાઓ પણ કાર્યરત કરાઇ રહી છે, જેથી કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરવામાં જનસામાન્યને કોઇ પ્રકારની તકલીફ ન રહે.


