ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સહિત દેશભરમાં અવારનવાર લોકોએ જે રાજકીય પક્ષના ચિન્હ પર જે ઉમેદવારને ટિકિટ આપી હોય અને પ્રજાએ તે પક્ષ અને ઉમેદવાર પર ભરોસો મૂકીને મત આપી જીતાડ્યા હોય છે પરંતુ ઘણી વખત ઉમેદવાર જીત્યા બાદ અન્ય પક્ષમાં જોડાઈને પ્રજા સાથે વિશ્ર્વાસઘાત કરતાં હોય છે ત્યારે રાજકોટ મનપામાં કોંગ્રેસ પક્ષના ચિન્હ પરથી ચૂંટાઈને આવેલ અને આમઆદમીમાં જોડાયેલ પક્ષપલ્ટુ નગરસેવકોને સરકાર દ્વારા ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો છે. આ હુકમથી પક્ષપલ્ટુઓમાં ભય ફેલાઈ ગયો છે. જ્યારે કોંગ્રેસ પક્ષ ગેલમાં આવ્યો છે.
આ ચૂકાદાથી આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી મીઠા મોંઢા કરાવી વધામણાં કર્યા હતાં. આ તબક્કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા કાયદાને ધ્યાને રાખી હુકમ કરેલ છે તેથી પ્રજામાં જે ભયનો માહોલ છે ત્યારે માત્ર લોકોની આસ્થા ન્યાય તંત્ર ઉપર રહી છે ત્યારે આ બંને નગરસેવકોને ન્યાયના હિતમાં ગેરલાયક ઠેરવ્યા છે જેને અમો આવકારીએ છીએ. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા આ પ્રજાહિતમાં લેવાયેલ ચૂકાદાનો તાત્કાલિક અમલ કરીને વોર્ડ નં. 15માં પેટા ચૂંટણી જાહેર કરે.
- Advertisement -
તદ્ઉપરાંત મનપાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે આમઆદમી પાર્ટીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે વોર્ડ નં. 15ની પેટા ચૂંટણીમાં જીતી બતાવે.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપૂત, ભાનુબેન સોરાણી, જસવંત ભટ્ટી, ભરત મકવાણા, ઘનશ્યામસિંહ જાડેજા, જયપાલસિંહ રાઠોડ, નરેશ સાગઠીયા, મયુરસિંહ પરમાર, મુકુંદ ટાંક, નાગજી વિરાણી, પુંજાભાઈ ભાવેશભાઈ, જીજ્ઞેશ ડોડીયા તથા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.