મસાલા બજારમાં તેજી : રસોઈનું બજેટ બગડશે?
રૂ.350થી 400ના કિલો લાલ મરચાં પાઉડર 500થી 600 રૂપિયા સુધી પહોંચશે
- Advertisement -
પાછોતરા વરસાદથી પાક નુકસાનના કારણે પુરવઠો ઓછો અને માંગ વધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મસાલા માર્કેટ શરૂ થવાની તૈયારી વચ્ચે જ મસાલાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને લાલ મરચાંના પાઉડરના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
ઉનાળાની ઋતુ નજીક આવતાં ઘરેલુ વપરાશ માટે મસાલાની આગોતરી ખરીદી શરૂ થતાં બજારમાં માંગ વધતી જઈ રહી છે, જેના કારણે ભાવ પર સીધી અસર પડી રહી છે.
હાલ બજારમાં લાલ મરચાં પાઉડરનો ભાવ કિલોગ્રામ દીઠ અંદાજે 350થી 400 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે સ્ટોક પૂરતો હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી ખરીદીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મસાલા માર્કેટ શરૂ થતાં જ માંગમાં વધુ વધારો થવાની શક્યતા હોવાથી ભાવ 500થી 600 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. આ વર્ષે લાલ મરચાંના ભાવ વધવાનું એક મુખ્ય કારણ પાછતરા વરસાદને માનવામાં આવી રહ્યું છે. વરસાદના કારણે પાકને નુકસાન થતાં ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે પુરવઠો ઓછો અને માંગ વધારે થતાં ભાવમાં તેજી આવી છે. લાલ મરચાં સાથે અન્ય મસાલાના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. ગયા વર્ષે 125થી 150 રૂપિયા પ્રતિ કિલો મળતો ધાણા આ વર્ષે 200થી 250 રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. જીરુંના ભાવ પણ ઊંચા સ્તરે છે; હરરાજીમાં જીરું આશરે 200 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે રીટેઈલ માર્કેટમાં 300થી 400 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. હળદળ પણ ગયા વર્ષની સરખામણીએ મોંઘી થવાની સંભાવના છે. મસાલાના ભાવમાં વધારાની શક્યતા જોતા ઘણી મહિલાઓ પહેલેથી જ મસાલાની ખરીદી કરી સંગ્રહ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે, જેથી આવનારા દિવસોમાં વધતા ભાવથી બચી શકાય. બીજી તરફ વેપારીઓ પણ વધતી માંગને ધ્યાનમાં રાખી સ્ટોક તૈયાર કરી રહ્યા છે. આ સ્થિતિમાં મસાલાના વધતા ભાવો સામાન્ય ગ્રાહકના રસોઈ બજેટ પર સીધી અસર કરશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.



