અગાઉની ફ્લાઇટમાં 60 યાત્રિકો ગુજરાતી સાથે 200 યાત્રિકો સામેલ હોવાનું ખૂલ્યું, વેટ્રી અને જર્મનીના રૂટની ફ્લાઇટની વ્યવસ્થા કરનાર એજન્ટો એક જ હોવાનો ખુલાસો
ફ્રાંસમાં ફ્લાઇટ પકડાવવા મામલે અત્યાર સુધીનો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગેરકાયદે અમેરિકા જઇ રહ્યા હોવાની આશંકાએ ફ્રાંસથી પરત મોકલાયેલા વિમાનમાં સવાર લોકોની સતત તપાસ થઇ રહી છે. જેને લઈ હવે દરરોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ દરમ્યાન CIDએ આ કેસમાં તમામ યુવકોની તપાસ બાદ તેમને મોકલનાર એજન્ટોની તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે એજન્ટો મારફતે વધુ 3 વિમાન ગેરકાયદે રીતે વિદેશ મોકલાયા હતા.
- Advertisement -
સૌથી મોટો ખુલાસો
CID ક્રાઇમની તપાસમાં વધુ 3 વિમાનમાં ગેરકાયદે લોકોને નિકારાગુઆ મોકલાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અગાઉ 6 ડિસેમ્બરે પણ એક વિમાન દુબઇથી નિકારાગુઆ મોકલાયું હતું. ફ્રાંસમાં રોકી દેવાયેલા વિમાનના 2 દિવસ પહેલા પણ એક ચાર્ટર્ડ વિમાન રોકાયું હોવાનું સામે આવ્યું છે એજન્ટોએ મોકલેલું ચાર્ટર્ડ વિમાન જર્મનીના એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર 10 થી 12 કલાક રોકાયું હતું.
60 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું
આ સાથે CID ક્રાઇમની તપાસમાં 6 ડિસેમ્બરે આવેલા વિમાનમાં ફ્રાંસના રૂટના એજન્ટો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉની ઉડાનમાં 200 યાત્રકો વિમાનમાં સવાર હતા. જેમાંથી 60 ગુજરાતીઓ હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. એટલું જ નહીં વેટ્રી અને જર્મનીની રૂટની ફ્લાઇટની વ્યવસ્થા કરનાર એજન્ટો એક જ હોવાનું સામે આવ્યું છે. જોકે હવે CIDએ સમગ્ર મામલે વધુ ગહન તપાસ હાથ ધરી એજન્ટો સાથે સંકડાયેલા તમામ શખ્સોની તપાસ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો ?
ગયા અઠવાડિયે ફ્રાન્સમાં દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઈટને અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ પ્લેનને ટેક ઓફ કરવાની મંજૂરી આપી ન હતી. તેઓએ માનવ તસ્કરીના શંકાસ્પદ મુસાફરોની પૂછપરછ શરૂ કરી. આ વિમાનમાં 303 ભારતીયો સવાર હતા. જેમાંથી 276 મુસાફરો મુંબઈ પરત ફર્યા હતા. ફ્રેન્ચ તપાસકર્તાઓએ ચાર દિવસ પછી વિમાનને ઉડવાની પરવાનગી આપી. બાદમાં તે મુંબઈ પરત ફર્યું હતું. બોર્ડ પરના તમામ 27 લોકોએ ફ્રાન્સની સરકારને આત્મસમર્પણ કર્યું અને આશ્રય માંગ્યો. તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી.