’ભવની ભાંગી ભૂખ રે, ગાંગડો વાલો લાગ્યો સે’
કચ્છના નાના રણમાં કાળી મજૂરી કરી અમૃત પકવતા અગરીયાઓએ વધુ સારા ઉત્પાદનની આશ સાથે ઠેર ઠેર રણમાં શક્તિ માતાજીને નૈવેદ્ય ધરાવી મુહૂર્ત કર્યું છે. કચ્છનું નાનું રણ હજારો અગરીયાઓની આજીવિકા છે અને રણમાં મીઠું પકવી હજારો અગરીયાઓ રોજગારી મેળવી ગુજરાન ચલાવે છે. આ વર્ષે ચોમાસુ સારું સાબિત થતાં અગરીયાઓએ પણ સારા મીઠાના ઉત્પાદનની આશ લગાવી છે. રણમાં હજારો અગરીયાઓ અને અનેક મંડળીઓના સભ્યો પરિવાર સાથે છ મહિના જેટલા સમય સુધી કાળી મજુરી કરી પરસેવો સિંચીને અમૃત સમાન મીઠું પકવતા હોય છે. આ પંથકમાં રણકાંઠાના ગામોનો મુખ્ય વ્યવસાય મીઠું પકવી રોજીરોટી મેળવવાનો છે જેમાં કપરી પરીસ્થિતિમાં ટાઢ, તાપ વેઠીને અગરીયાઓ મહામહેનતે રોજીરોટી મેળવતા હોય છે. આ વર્ષે પણ રણ ભરાતા સારા ઉત્પાદન અને સારા ભાવની આશાએ હળવદની રણમલપુર સહકારી મંડળીના સભ્યો વિરાણી પ્રવિણભાઈ, વિરાણી ઘનશ્યામભાઈ, વિરાણી અવસરભાઈ, વિરાણી રાજેશભાઈ, અજાણી લાલજીભાઈ અને અજાણી ગણપતભાઈએ માં શક્તિને પરંપરાગત રીતે નૈવેદ્ય ધરાવી, શ્રીફળ વધેરી, પૂજા અર્ચના કરી મુહૂર્ત કર્યું હતું.