મ્યાનમારમાં દર મહિને 30 કરોડથી વધુની ઓર્ડર મળતાં હતા, હાલ બધુ ઠપ્પ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપની જોરદાર અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે. મ્યાનમાર અને થાઇલેન્ડથી દર મહિને 30થી વધુ કરોડના ઓર્ડર મળતા હતા. જે ભૂકંપ બાદ એકદમ ઠપ થઇ ગયા છે. જેના કારણે મોરબી સિરામિક ઉદ્યોગને પણ મહંદઅંશે માર પડ્યો છે. આ પરિસ્થિતિમાંથી ઉગરતા ચારથી પાંચ મહિના જેટલો સમય લાગી શકે છે તેમ ઉદ્યોગકારો કહી રહ્યા છે.
થોડા દિવસો પહેલા થાઈલેન્ડ અને મ્યાનમાર ખાતે જે વિનાશક ભૂકંપ આવ્યો તેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે અને અનેક બહુમાળી બિલ્ડીંગો સહિતના ઇમારતો જમીન દોસ્ત થયેલ છે ત્યારે દેશ અને દુનિયાના જુદા જુદા ઉદ્યોગને તેની સીધી કે આડકતરી અસર જોવા મળી રહી છે તેમાંથી મોરબીનો વિશ્ર્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ પણ બાકાત નથી. મોરબીથી દુનિયાના મોટાભાગના દેશની અંદર સિરામિક પ્રોડક્ટને સપ્લાય કરવામાં આવે છે પરંતુ થાઈલેન્ડ અને મ્યાનમારમાં જે ભૂકંપ આવેલ છે તેના કારણે મોરબીનું આ બંને દેશમાં જે એક્સપોર્ટ થતું હતું તે હાલમાં સ્થગિત થઈ જશે. મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો અને કેવી પરિસ્થિતિ સર્જાઇ હતી તે આપણે સૌ જાણીએ છીએ આવી જ પરિસ્થિતિ હાલમાં મ્યાનમાર અને થાઈલેન્ડની છે કે જ્યાં ભૂકંપ આવવાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે અને ઘણી બિલ્ડિંગો જમીન દોસ્ત થઈ ગઈ છે. આ બંને દેશમાં દર મહિને મોરબીથી જુદા જુદા સીરામીક ઉદ્યોગકારો દ્વારા 30 કરોડથી વધુનું એક્સપોર્ટ કરવામાં આવતું હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ એક્સપોર્ટના ઓર્ડરો હવે સ્થગિત થઈ જશે જોકે આગામી ચાર-પાંચ મહિના પછી જ્યારે પરિસ્થિતિ થાળે પડશે ત્યારબાદ મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગ વધશે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.