રહેવાસીઓએ લુખ્ખા તત્વો વિરૂદ્ધ અરજી આપી હતી પરંતુ માલવિયાનગર પોલીસ ઊંઘતી રહી
સ્થાનિક નેતાઓને પૈસા છાપવા સિવાય કોઈ બાબતમાં રસ નથી, પ્રજા જાય તેલ લેવાં
- Advertisement -
અમરનગરમાં લુખ્ખાઓએ મહિલાઓ ઉપર મિર્ચી સ્પ્રે છાંટી, પથ્થરમારો કરી, લોકો પર વાહનો ચડાવ્યા
રોષે ભરાયેલાં સ્થાનિક રહીશોએ ડીસીપીને રજૂઆત કરતાં જગદીશ બાંગરવા ઘટનાસ્થળે દોડી ગયા: પોલીસે સગીર સહિત 3ને ઝડપી પાડ્યા-4 સામે ગુનો નોંધાયો
રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ, સ્થાનિક નેતાગીરીમાં પણ કોઈ મરદમૂછાળો નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગત રાત્રે મવડીના અમરનગર વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ બન્યા હતા આ વિસ્તારમાં મહિલા અને બાળકો ઘર બહાર બેઠા હતા ત્યારે ત્રણ કુખ્યાત શખ્સ સહિત દશેક અસામાજીક તત્વોની ટોળકી ધસી આવી હતી અને મહિલાઓ પર મીર્ચી સ્પ્રેથી હુમલો કરી સોડા-બોટલના ઘા કરી રિતસરનો આતંક મચાવ્યો હતો અચાનક જ ઘસી આવેલી ટોળકીએ લોકો પર વાહનો ચડાવી દઇ ધમાલ મચાવતા ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને ત્વરિત ફરિયાદ નોંધી ચારેક શખ્સોની ધરપકડ કરી હતી.
રાજકોટના મવડી પ્લોટ અમરનગરમાં રહેતા દક્ષાબેન રાજુભાઇ ઓડેદરા નામની યુવતી સંજય માત્રાણિયા, વિવેક ઉર્ફે અભિ, રાજદીપ ઉર્ફે બાપુડી, અભિષેક અને તપાસમાં જે ખૂલે તેની સામે માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં નશામાં ધૂત શખ્સોએ છરીઓ સાથે ધસી આવી છોકરાંઓને ધમકાવ્યા હતા. દરમિયાન વિસ્તારવાસીઓએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. બનાવને પગલે લુખ્ખા ટોળકીને જાણ થતા ઉશ્ર્કેરાયા હતા પોતે તથા અન્ય પાડોશીઓ ગત રાત્રે ગરમી હોવાથી શેરીમાં બહાર બેઠા હતા ત્યારે નશામાં ધૂત ટોળકી ધસી આવી હતી અને મહિલાઓ પર મિર્ચી સ્પ્રે છાંટી મારકૂટ કરી હતી બાદમાં આ ટોળકીએ સોડા-બોટલ અને પથ્થરમારો કરી રિતસરનો આતંક મચાવ્યો હતો અને નાસી છૂટ્યા હતા બનાવને પગ઼લે વિસ્તારવાસીઓ એકઠા થઇ જતા લુખ્ખા ટોળકી ફરી વાહનો સાથે ધસી આવી હતી અનેક લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યા હતો બેફામ વાહન હંકારતા નાસભાગ મચી ગઇ હતી. એક મહિલાને હાથમાં ઇજા થઇ હતી, અન્ય કેટલાક લોકોને પડી જવાથી નાની મોટી ઇજાઓ પણ થઇ હતી. બનાવને પગલે વિસ્તારવાસીઓ પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયા હતા અને ડીસીપીને રજૂઆત કરી હતી.
દરમિયાન પરિસ્થિતિની ગંભીરતા પારખી ગયેલા ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા સીધા જ અમરનગર વિસ્તારમાં દોડી ગયા હતા અને અગાઉ પણ આ ટોળકી સામે કોઇ કાર્યવાહી ન કરનાર માલવિયાનગરના પોલીસ ઇન્સપેક્ટર દેસાઇ સહિતના સ્ટાફને તાકીદે આરોપીને પકડવાનો આદેશ કર્યો હતો અને લુખ્ખાઓ સામે આકરી કાર્યવાહી કરવાની સૂચના આપતા મધરાતે એક સગીર સહિત ત્રણ શખ્સને ઝડપી લેવામાં લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.