આતંકવાદી ષડયંત્ર કેસમાં NIAએ પાંચ રાજ્યો અને J-Kમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા
જમ્મુ અને કાશ્મીરમાં સોમવારે (આઠમી સપ્ટેમ્બર) વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સાથે દેશના પાંચ રાજ્યોના લગભગ 22 સ્થળો પર NIAએ દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો આંતરિક સુરક્ષા સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
પીએમ મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લઈ શકે છે!
અહેવાલો અનુસાર, સોમવારે સવારે NIAની એક ટીમે બારામુલ્લા જિલ્લાના પટ્ટન શહેરના જંગમ ગામમાં પણ દરોડા પાડ્યા હતા. અહીં ટીમે સંબંધિત તપાસના ભાગ રૂપે ઉમર રશીદ લોનના ઘરે દરોડા પાડ્યા હતા. હાલમાં સમગ્ર મામલે NIA તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. NIAની આ કાર્યવાહી એવા સમયે આવી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. તે અહીં પૂર પછીની પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે. જો કે, તેમની જમ્મુ મુલાકાતની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આતંકી ષડયંત્ર મામલે દરોડા
- Advertisement -
આતંકી ષડયંત્ર મામલે NIA ટીમે જમ્મુ અને કાશ્મીર સહિત 5 રાજ્યોમાં એક સાથે 22 સ્થળોએ દરોડા પાડ્યા છે. NIAના અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકી ષડયંત્ર મામલે આ દરોડા પાડવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડા દરમિયાન અહીંથી ઘણાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો, શંકાસ્પદ નાણાકીય દસ્તાવેજો અને અન્ય કાગળો પણ મળી આવ્યા હતા.
બિહારમાં આઠ સ્થળોએ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક-એક સ્થળે, ઉત્તર પ્રદેશમાં બે સ્થળોએ અને જમ્મુ અને કાશ્મીરમાં નવ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
NIAએ અગાઉ પણ દરોડા પાડ્યા હતા
NIA લાંબા સમયથી જમ્મુ અને કાશ્મીરમાં દરોડા પાડી રહી છે. જૂન મહિનામાં પણ ટીમે એક સાથે 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શોપિયાન, કુલગામ, કુપવાડા, સોપોર અને બારામુલ્લાના ઘણાં વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.