ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનું આયોજન આજ રોજ યોજાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીના પ્રદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે અવગત કરવાનો હતો. આ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનો ઉદ્ઘાટન સમારોહ જૂનાગઢ મનપા મેયર ધર્મેશભાઈ પોશીયાના હસ્તે યોજાયો હતો.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિએ જણાવ્યું હતું કે, વર્ષ 1950માં આપણા દેશે અનાજ ઉપર અન્ય દેશો પર આધારિત હતા. જયારે આજે અનાજ ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર બન્યા છે. આજે આપણે અન્ય દેશોમાં અનાજની નિકાસ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ નવીન ટેકનોલોજી છે. ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે અનેક પડકારો આવવાના છે. ખેતીમાં ખર્ચ વધી રહયો છે, મજૂરોની અછત વર્તાય છે ત્યારે આપણે કૃષી ક્ષેત્રે આધુનિક મશીન અને ટેકનોલોજી મદદરૂપ બનશે. ખેતીને સરળ બનાવવા અને ખેડૂતોની આવક વધારવા નવીનતમ ટેકનોલોજી નો વ્યાપ વધે એ ખૂબ જ જરૂરી છે. આ તકે મેયર ધર્મેશભાઈએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં અનેક કાર્યો થઈ રહ્યા છે. ત્યારે ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી યુવાનો પણ ખેતી તરફ વળશે.વિસ્તરણ શિક્ષણ નિયામક એન.બી. જાદવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમયાંતરે આ પ્રકારના ખાસ મેળાનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં યુનિવર્સિટી દ્વારા અને વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા ખેતી ક્ષેત્રે થયેલા નવા સંશોધનો, મશીનરી ખેડૂતોને રૂબરૂ જોવા અને નીદર્શનનો લાભ મળતો હોય છે.આ મેળામાં વિવિધ કૃષિ મશીનરી ઉત્પાદકોના નવીનતમ ટેકનોલોજીના સ્ટોલોની મુલાકાત ખેડૂતો એ લીધી હતી.