ઉંદરના દ્રષ્ટાંતથી મળેલા બોધની સ્મૃતિમાં આર્ય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો; શોભાયાત્રા અને યજ્ઞનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
આર્ય સમાજના સ્થાપક અને ક્રાંતિકારી સંત મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે આગામી મહાશિવરાત્રીના પાવન પર્વે દ્વિ-દિવસીય ’ઋષિ બોધોત્સવ’ ઉજવવામાં આવશે.
વર્ષ 1960થી ચાલી આવતી આ પરંપરા મુજબ, દેશભરમાંથી હજારો આર્ય વિચારકો અને શ્રદ્ધાળુઓ ટંકારા ખાતે ઉમટી પડશે. મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ પદ્મશ્રી પૂનમસુરીના નેતૃત્વમાં આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ભાગ લેશે.
આ ઉત્સવનો ઇતિહાસ આશરે બસો વર્ષ પૂર્વેની એ ઘટના સાથે જોડાયેલો છે જ્યારે મહાશિવરાત્રીની રાત્રે શિવલિંગ પર ઉંદરને ફરતા જોઈને બાળ મૂળશંકરના મનમાં મૂર્તિપૂજા અને અંધશ્રદ્ધા સામે ગહન પ્રશ્નો જાગ્યા હતા. માત્ર 12 વર્ષની ઉંમરે સાચા ’શિવ’ની શોધમાં નીકળેલા મૂળશંકરે ભારત ભ્રમણ કરી સામાજિક કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો અને ’વેદ તરફ પાછા વળો’નું સૂત્ર આપ્યું હતું. આ ઐતિહાસિક બોધ પ્રાપ્તિની યાદમાં જ આર્ય સમાજ દ્વારા દર વર્ષે શિવરાત્રીને ’બોધોત્સવ’ તરીકે ઉજવીને વૈદિક ધર્મની આહલેક જગાડવામાં આવે છે.
આ વર્ષના કાર્યક્રમોની રૂપરેખા મુજબ, 9 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઋગ્વેદ વૈદિક પારાયણ યજ્ઞની મહાશિવરાત્રીએ પૂર્ણાહુતિ થશે. રવિવારે સવારે દયાનંદ જન્મસ્થળથી કુબેરનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં ઋષિ દયાનંદના સત્કાર્યોને ઉજાગર કરવામાં આવશે. આ ઉપરાંત વૈદિક ધર્મની જાગૃતિ માટે 7 કિમીની મેરેથોન દોડ અને શ્રદ્ધાંજલિ સભા જેવા કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને નિવૃત જસ્ટિસ પ્રિતમપાલસિંહ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી મહર્ષિના ક્રાંતિકારી વિચારોને અંજલિ આપશે.



